Φ अपना विषय खोजे

Tuesday, April 24, 2012

આંદોલનને કોંગ્રેસી જવાબ લઘુમતી અનામતની ભ્રમજાળ!

અણ્ણાના આંદોલનને કોંગ્રેસી જવાબ લઘુમતી અનામતની ભ્રમજાળ!


-
લઘુમતી અનામતના કોંગ્રેસી કાર્ડથી અણ્ણા હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનનો ફૂગ્ગો ફૂટી જશે. લોકસભામાં લોકપાલ બિલ રજૂ થવાનું હતું, ત્યારે તે કેવી રીતે ભ્રષ્ટાચાર વિરુદ્ધનું તંત્ર પેદા કરશે તેના પર ચર્ચા થઈ ન હતી. પરંતુ લોકપાલની સમિતિ અને સર્ચ કમિટીમાંથી એસસી, એસટી, ઓબીસી, મહિલા માટે ઓછામાં ઓછું 50 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી. પરંતુ કોંગ્રેસના વડપણ નીચેની યુપીએ સરકારે લોકપાલના અનામતની જોગવાઈમાંથી લઘુમતી શબ્દ હટાવી લીધો. લોકસભામાં લાલુપ્રસાદ યાદવે આ મુદ્દે તોફાન મચાવ્યું અને લોકપાલમાં લઘુમતીઓને અનામતની જોગવાઈ પાછી લેવડાવી. ભારતીય બંધારણ પ્રમાણે ધર્મ આધારીત અનામત ગેરબંધારણીય છે. પરંતુ ભારતીય બંધારણને સુપ્રીમ ગણવાની વાત કરનારી ભારતીય લોકશાહીની સુપ્રીમ સત્તા સંસદમાં બંધારણની ભાવનાને દરકિનાર કરવામાં આવી. લોકસભામાં રજૂ કરવામાં આવેલા સરકારી લોકપાલ બિલના નવા ડ્રાફ્ટમાં અનામતની જોગવાઈમાં લઘુમતી શબ્દ ફરીથી દાખલ કરવામાં આવ્યો.

લોકસભામાં ભાજપના નેતા સુષ્મા સ્વરાજે ધર્મ આધારીત લઘુમતી અનામતને ગેરબંધારણીય ઠેરવ્યું છે. ભાજપ લોકપાલમાં ધર્મ આધારીત લઘુમતી અનામતનો વિરોધ કરી રહ્યું છે. વળી બંધારણમાં પણ ધર્મ આધારીત અનામતની કોઈ જોગવાઈ નથી. આથી જો લોકપાલમાં લઘુમતી અનામત દાખલ કરવું હોય તો બંધારણીય સંશોધનની જરૂરત પડશે. આ બંધારણીય સંશોધનને પારીત કરવા માટે ગૃહમાં બે તૃતિયાંશ બહુમતીની જરૂર પડશે. પરંતુ ભાજપ લોકપાલમાં લઘુમતી અનામતના મુદ્દે વિરોધ પર કાયમ રહે તો બંધારણીય સંશોધન પારીત થશે નહીં અને લાલુ, મુલાયમ, બીએસપી, ડાબેરીઓ લઘુમતી અનામત વગરનું લોકપાલ પારીત થવા દેશે નહીં. આવા સંજોગોમાં કોંગ્રેસના વડપણવાળી યુપીએ સરકારને માટે સાપ પણ મરી જશે અને લાઠી પણ નહીં તૂટે તેવી પરિસ્થિતિ પેદા થશે. એટલે કે અણ્ણાનું ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન નબળું પડશે અને ભાજપને લઘુમતી અનામતની ભ્રમજાળમાં ફસાવીને કોંગ્રેસ વિરોધી વાતાવરણને તરફેણમાં ફેરવવાની તક મળશે.

ભ્રષ્ટાચારથી ભ્રમિત બનેલી યુપીએ સરકારે હાલ દેશને દિગ્ભ્રમિત કર્યો છે. યુપીએ સરકારના ભ્રષ્ટાચારના પાપનો ઘડો હવે ભરાઈ ચુક્યો છે. અણ્ણા હજારે યુપીએ સરકારના પાપના ઘડાને ફોડવા માટે જનલોકપાલનો પાણો ફેંકી ચુક્યા હતા. પરંતુ યુપીએ સરકારની શાતિર વકીલ મંત્રી ત્રિપુટીએ અણ્ણા હજારેના જનલોકપાલના પાણાનું નિશાન લોકપાલમાં લઘુમતી અનામતના કીડીના ચટકાથી ચુકવી દીધું છે. કોઈપણ પરિસ્થિતિમાં સરકારની લોકપાલનો ભાજપ અથવા અન્ય પક્ષો દ્વારા વિરોધ થવાનો છે અને તેવા સંજોગોમાં લોકપાલ બિલ પારીત થશે નહીં અથવા મહામુશ્કેલીએ પારીત થશે. વળી બે તૃતિયાંશ બહુમતીથી ધર્મ આધારીત લઘુમતી અનામતને લોકપાલમાં દાખલ કરાવવાની કોંગ્રેસની મનસા પૂર્ણ થશે નહીં. પરંતુ તેઓ રાજકીય રીતે કહી શકશે કે તેમણે લોકપાલમાં લઘુમતી અનામત માટે લાલુ, મુલાયમ, બીએસપી અને ડાબેરીઓના દબાણમાં પ્રયત્ન કરી જોયો પણ લઘુમતી વિરોધી ભાજપે તેને સફળ થવા દીધો નહીં. આ સ્થિતિમાં જીત યુપીએ સરકારની થવાની છે. તેની સાથે મુસ્લિમોના ઉત્થાન માટેની સચ્ચર કમિટીની ભલામણો અને રંગનાથ મિશ્રા પંચની લઘુમતી અનામતની જોગવાઈ લાગુ કરવાનો મુદ્દો પણ કોલ્ડ બોક્ષમાંથી ગરમ થઈને બહાર આવ્યા છે.

જેના આધારે કોંગ્રેસ ઉત્તર પ્રદેશની આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં મુસ્લિમ મતો અંકે કરવા માટે લઘુમતી અનામતના કાર્ડનો ઉપયોગ કરી શકશે. ઉત્તર પ્રદેશમાં દેશના કુલ મુસ્લિમોના 50 ટકા મુસ્લિમો રહે છે. જ્યારે ઉત્તર પ્રદેશની કુલ વસ્તીમાં મુસ્લિમોની ટકાવારી 20 ટકા છે. મુસ્લિમ મતો યૂપીની 403માંથી 100થી વધારે બેઠકો પર નિર્ણાયક સ્થિતિમાં છે. તેવા સંજોગોમાં કોઈપણ પક્ષને મુસ્લિમ વોટની લાલચ જાગી શકે છે. આવી સ્થિતિમાં સમાજવાદી પાર્ટી પહેલા જ જાહેરાત કરી ચુકી છે કે તેઓ સંસદમાં આવનારા લઘુમતી-મુસ્લિમ અનામતના કોઈપણ બિલને ટેકો આપશે. માયાવતીએ પોતાની અનામતની રાજનીતિ હેઠળ મુસ્લિમોને અનામત આપવા સંદર્ભે વડાપ્રધાનને પત્રો લખ્યા હતા. જો કે વડાપ્રધાને આ સંદર્ભે એક રાજ્ય તરીકે માયાવતી સરકાર નિર્ણય કરી શકે તેમ હોવાની વાત અન્ય રાજ્યોના મુસ્લિમ અનામતની વ્યવસ્થાને ટાંકીને કરી હતી. હાલ કેરળ, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યો મુસ્લિમ અને/અથવા ખ્રિસ્તી અનામત આપી રહ્યા છે.

પરંતુ ઉત્તર પ્રદેશ વિધાનસભામાં મુસ્લિમ મતોની ફસલ લણવા માટે કોંગ્રેસ પણ ટાંપીને બેઠી હતી. જેવો લોકપાલમાં લઘુમતી અનામતનો મુદ્દો ગરમ થયો કે તેમણે હથોડો મારી દીધો. 22મી ડીસેમ્બરે ક્રિસમસ નિમિત્તે સંસદની કાર્યવાહી 27 ડીસેમ્બર સુધી સ્થગિત રહેવાની છે, ત્યારે કેન્દ્રીય કેબિનેટે ઓબીસી ક્વોટામાંથી લઘુમતી-મુસ્લિમોને 4.5 ટકા અનામત આપવાની ઘોષણાને મંજૂરી આપી દીધી છે. વળી આ ટાઈમિંગનું પણ ઘણું મહત્વ છે. ઉત્તર પ્રદેશ સહીતના પાંચ રાજ્યોની ચૂંટણીની જાહેરાત પણ 23મી ડીસેમ્બરની આસપાસ થવાની છે. ચૂંટણીની જાહેરાત બાદ આચાર સંહીતા લાગુ થઈ જાય તો તેવી સ્થિતિમાં મુસ્લિમ-લઘુમતી અનામતનું કાર્ડ ખેલી શકાય નહીં. આથી આચાર સંહીતા લાગુ થતાં પહેલા કેન્દ્રીય કેબિનેટે ઓબીસી ક્વોટામાંથી લઘુમતીઓને અનામત આપવાની જાહેરાત કરીને મુસ્લિમ મતોનો લાભ ખાંટી લેવાનો પેંતરો કોંગ્રેસના વડપણવાળી યુપીએએ કર્યો છે.

કોંગ્રેસના ઈશારે યુપીએ સરકાર દ્વારા શરૂ થયેલી લઘુમતી અનામતની રાજનીતિને કારણે ભાજપને પોતાના જૂના પથ પર જવું પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. ભાજપ ધર્મ આધારીત અનામતને ટેકો આપી શકશે નહીં. જો તેઓ લઘુમતી અનામતને ટેકો આપશે, તો તેમની પરંપરાગત હિંદુ વોટબેંક ધોવાઈ જશે. જો તેઓ લઘુમતી અનામતને ટેકો નહીં આપે, તો મુસ્લિમ વોટો ભાજપને મળવાનો જે આભાસ પેદા થયો છે તે અદશ્ય થઈ જશે. પરંતુ ભાજપ પોતાની પરંપરાગત હિંદુ વોટબેંક ધોવાઈ જાય તેવું બિલકુલ ઈચ્છશે નહીં. તેવા સંજોગોમાં ભાજપ દ્વારા ધર્મ આધારીત અનામતની કોઈપણ જોગવાઈનો વિરોધ થશે. વળી સંઘ પરિવાર પણ આવી જોગવાઈના વિરોધ સંદર્ભે સક્રિય બનશે. વિશ્વ હિંદુ પરિષદે પણ લઘુમતી અનામતના વિરોધમાં 27-28 ડીસેમ્બરે દેખાવ કરવાનું એલાન કર્યું છે. આ એલાન એવા વખતે છે કે જ્યારે અણ્ણા હજારે મુંબઈના આઝાદ મેદાનમાં જનલોકપાલ બિલ માટે 27થી 29 ડીસેમ્બર સુધીના ત્રણ દિવસના અનશન કરવાના છે.

આને કારણે સંભાવના એવી પણ છે કે લોકપાલનો મુદ્દો લઘુમતી અનામતના ઉછાળાયેલા મુદ્દાથી અભરાઈ પર ચઢી જશે અથવા અણ્ણાનું આંદોલન કમજોર પડશે. આ સ્થિતિ કોંગ્રેસ અને યુપીએ માટે બેહદ હકારાત્મક રહેશે. હાલની પરિસ્થિતિમાં અણ્ણાના આંદોલનથી પેદા થયેલું કોંગ્રેસ વિરોધી વાતાવરણ એનડીએ માટે ફાયદાકારક છે. પરંતુ લઘુમતી અનામતની જોગવાઈઓ અને જાહેરાતથી કોંગ્રેસ તેની સામેની રાજકીય નકારાત્મકતાને સંતુલિત કરવામાં સફળ થશે. જો કે તેના કારણે દેશ માટે માઠી પરિસ્થિતિ ઉભી થશે. દેશમાં ભ્રષ્ટાચાર વિરોધી વાતાવરણ મઝહબી અનામતના વિભાજનકારી પેંતરાઓથી ઘર્ષણ અને તણાવ પેદા થશે. જેના કારણે ભ્રષ્ટાચાર, મોંઘવારી, ચીનનું આક્રમક વલણ, પાકિસ્તાનનું પ્રોક્ષીવોર, આતંકવાદ અને અન્ય મહત્વની સમસ્યાઓ તરફથી જનતાનું ધ્યાન હટી જશે. દેશ મઝહબી અનામતના ભમ્મરિયા વમળમાં ફસાઈ જશે. આ પરિસ્થિતિ 2014ની લોકસભાની ચૂંટણી સુધી ચાલુ રહે તેવું કોંગ્રેસના વડપણવાળી યુપીએ સરકાર કદાચ ઈચ્છશે કે જેથી તેમની ભ્રષ્ટાચારની ભૂતાવળો કબરોમાંથી બહાર ન આવે.

No comments:

Post a Comment