Φ अपना विषय खोजे

Tuesday, April 24, 2012

2014 PM:

2014 PM: 85 (અડવાણી)-61 (મોદી) V/S 41 (રાહુલ)- 40 (પ્રિયંકા)


pm canditates for 2014 election advani-modi vs. rahul-priyanka gandhi

2014ની લોકસભાની ચૂંટણીને હજી 2 વર્ષ જેટલો સમય બાકી છે. પરંતુ દેશના આગામી વડાપ્રધાન કોણ બનશે, તેની ચર્ચા દેશ-દુનિયામાં ચાલી રહી છે. અમેરિકાની એક સરકારી એજન્સીના રિપોર્ટ પ્રમાણે, 2014નો જંગ રાહુલ ગાંધી વિરુદ્ધ નરેન્દ્ર મોદીનો બનશે. આ રિપોર્ટમાં નરેન્દ્ર મોદીના સુશાસન-વિકાસની સાથે સાથે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના સુશાસન અને વિકાસના પણ વખાણ કરવામાં આવ્યા છે.

પરંતુ વડાપ્રધાન બને તેવા ‘મુરતિયાં’ની ભારતમાં કોઈ કમી નથી. ભારતમાં વડાપ્રધાન બનવું ઘણી વખત સંજોગોની વાત પણ બની જાય છે. ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે તત્કાલિન મોટાભાગની કોંગ્રેસ સમિતિઓએ સરદાર પટેલ પર પસંદગી ઉતારી હતી, પરંતુ મહાત્મા ગાંધીના કહેવાથી સરદાર પટેલે જવાહરલાલ નેહરુની તરફેણમાં પોતાની દાવેદારી જતી કરી હતી. ઈન્દિરા ગાંધીની હત્યા બાદ 40 વર્ષના રાજીવ ગાંધી વડાપ્રધાન બનાવી દેવામાં આવ્યા. પોતાની રાજકીય કારકિર્દી અસ્તાંચળે હતી, ત્યારે નરસિંહરાવ વડાપ્રધાન બન્યા. દેવેગૌડાને પ્રાંતિય સ્તરના નેતા ગણવામાં આવતા હતા અને તેઓ જોડતોડના રાજકારણમાં દેશના વડાપ્રધાન બની ગયા. મનમોહન સિંહ પણ વડાપ્રધાનની દોડમાં ક્યાંય સામેલ ન હતા. પરંતુ સોનિયા ગાંધીને પોતાના ‘ત્યાગ’ બાદ દેશ માટે એક સીઈઓની જરૂર હતી અને 72 વર્ષના મનમોહન સિંહને વડાપ્રધાન બનાવી દેવાયા.

અત્યારે પણ દેશમાં વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે કોંગ્રેસ પાસે મનમોહન સિંહ અને રાહુલ ગાંધી સહીતના બે ઉમેદવારો ઉપલબ્ધ છે. જો કે કોંગ્રેસના અમુક લોબિસ્ટો પ્રિયંકા ગાંધી વાઢેરાને પણ વડાપ્રધાનની દોડમાં આગળ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. શરૂઆતમાં રાજકારણમાં જોડાવાનો સ્પષ્ટ નનૈયો ભણાનારા પ્રિયંકા ગાંધીએ તાજેતરમાં યૂપી ચૂંટણી પ્રચારમાં સંકેતો આપ્યા છે કે જરૂરત પડશે તો તેઓ પણ રાજકારણમાં આવી શકે છે. પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાઢેરાએ કહ્યુ છે કે હાલ સમય રાહુલ ગાંધીનો છે, પ્રિયંકાનો પણ સમય આવશે. એટલે કોંગ્રેસ તરફથી વડાપ્રધાનના ઉમેદવાર તરીકે ત્રીજું નામ પણ બિનઆધિકારીક રીતે ઉમેરાય જાય છે, પ્રિયંકા ગાંધીનું! આમ પણ કોંગ્રેસીઓ અને જનતાને પ્રિયંકા ગાંધીમાં દિવંગત વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની છાંટ દેખાય છે. આજે પણ ઈન્દિરા ગાંધી દેશના મજબૂત નેતૃત્વનો બિનહરીફ માઈલસ્ટોન છે. ઈન્દિરા ગાંધીએ મજબૂત નેતૃત્વના સેટ કરેલા માપદંડોને આજે પણ જનતા સ્વીકારી રહી છે.

પ્રિયંકા અને તેમના પતિ રોબર્ટ દ્વારા આપવામાં આવેલા સંકેતો પ્રમાણે, તેઓ રાજકારણમાં ઝુકાવશે. જો પ્રિયંકા ગાંધી રાજકારણમાં પ્રવેશ કરશે, તો તેઓ કોઈ નાના પ્રધાનપદ પર આસિન થવા માટે પ્રવેશ નહીં જ કરે. તેમના માટે દેશના શીર્ષસ્થ સ્થાન ખાલી કરી દેવામાં આવશે. પરંતુ હાલ ખરેખર સમય રાહુલ ગાંધીનો છે. કોંગ્રેસના મહાસચિવ રાહુલ ગાંધીના નેતૃત્વને કોંગ્રેસમાં તાર્કિક રીતે પ્રસ્થાપિત કરવા માટે પાર્ટીની ટોપ બ્રાસ પ્રયત્ન કરી રહી છે.

દિવંગત કોંગ્રેસી નેતા અર્જૂન સિંહે સૌ પ્રથમ વખત દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીમાં વડાપ્રધાન બનવાની ક્ષમતા છે. ત્યાર બાદ દિગ્વિજય સિંહ, બેનીપ્રસાદ વર્મા, રીટા બહુગુણા જોશીથી માંડીને કોંગ્રેસના નાના-મોટા નેતાઓ રાહુલ ગાંધીને વડાપ્રધાન પદે જોવા માટે ઉતાવળા બની ગયા છે. ખુદ વડાપ્રધાન મનમોહન સિંહે પણ રાહુલ ગાંધી માટે પદ ખાલી કરી દેવાની તૈયારી દેખાડતું નિવેદન ભૂતકાળમાં કર્યું છે. પરંતુ કોંગ્રેસની નેતાગીરી અને ખુદ સોનિયા ગાંધી ચાહે છે કે રાહુલ ગાંધીનું નેતૃત્વ કોંગ્રેસની અંદર વંશપરંપરાગતની જગ્યાએ તાર્કિક બને. તેને કારણે પહેલા બિહારની ચૂંટણી અને ત્યાર બાદ ઉત્તર પ્રદેશની ચૂંટણીની જવાબદારી રાહુલ ગાંધીના સિરે નાખવામાં આવી છે.

બિહારની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 4 બેઠકો જ મળી. પરંતુ આશા કરવામાં આવે છે કે યૂપીમાં કોંગ્રેસ આ વખતે સારો દેખાવ કરશે. યૂપીમાં કોંગ્રેસના દેખાવ પર રાહુલ ગાંધીનું આગામી રાજકીય ભવિષ્ય જોડાયેલું છે. જો રાહુલ ગાંધી પોતાના નેતૃત્વની તાર્કિકતા જનતામાં વિજય સાથે સાબિત કરી નહીં શકે તો બની શકે કે બે ટર્મ મનમોહન સિંહ બાદ આગામી ચૂંટણી બાદ જીત મળે તો પ્રણવ મુખર્જી જેવા નેતાનો પણ વડાપ્રધાન પદ માટે કોંગ્રેસ હાઈકમાન્ડ વિચાર કરે.

સામે પક્ષે ભાજપમાં પણ વડાપ્રધાન પદના ઉમેદવાર નક્કી કરવાના મુદ્દે રમખાણ મચી ગયું છે. ગત લોકસભા ચૂંટણીમાં એલ. કે. અડવાણીને એનડીએ તરફથી વડપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. જો કે 2009ની ચૂંટણીના લગભગ દોઢ વર્ષ પહેલા એટલે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામના એક સપ્તાહ પહેલા જ એનડીએએ વડાપ્રધાનના ઉમેદવાર તરીકે અડવાણીના નામની જાહેરાત કરી હતી. આ જાહેરાત ઘણી સૂચક હતી. જો કે 2009ની વાઈબ્રન્ટ સમિટમાં મુકેશ અંબાણી, અનિલ અંબાણી, રતન ટાટા, સુનિલ મિત્તલ સહીતના ઉદ્યોગપતિઓએ દેશના વડાપ્રધાન તરીકે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નામને આગળ કર્યું હતું.

વિશ્લેષકોના માનવા પ્રમાણે, નરેન્દ્ર મોદીનું વડાપ્રધાન તરીકે બિનઆધિકારીક રીતે ઉદ્યોગપતિઓના માધ્યમથી આગળ કરવામાં આવેલું નામ મતદારો માટે ગુંચવાડામાં નાખનારું હતું. તેના કારણે ભાજપને રાજકીય નુકસાન પણ ઉઠાવવું પડયું છે.

જો કે ત્યાર બાદ સંઘના દોરીસંચારથી અડવાણીની ભાજપમાં પાંખો કાપી નાખવામાં આવી. હવે સંઘના ફરમાન પ્રમાણે, અડવાણી વડાપ્રધાન પદના ઉમેદવારની રેસમાં નથી. પરંતુ ભાજપનું એક ચોક્કસ જૂથ હજી પણ અડવાણીમાં વડાપ્રધાન બનાવાની સંભવાના તેમના 85 વર્ષની જૈફવયે પણ જોઈ રહ્યું છે. તો બીજી તરફ 61 વર્ષના મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવા માટે ભાજપમાં એક જૂથ સક્રિય થયું છે. તાજેતરમાં ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરીએ પણ ટેલિવિઝન ચેનલની મુલાકાતમાં કહ્યુ હતુ કે નરેન્દ્ર મોદીમાં વડાપ્રધાન અને ભાજપના અધ્યક્ષ બંને બનવાની અસાધારણ ક્ષમતા છે. જો કે બાદમાં તેમણે પોતાના નિવેદન સંદર્ભે એમ પણ કહ્યુ હતુ કે આ પાર્ટીનો મત નથી, પાર્ટી સાથે મળીને યોગ્ય સમયે વડાપ્રધાન પદના ઉમેદવાર નક્કી કરશે. આમ જોવો તો નરેન્દ્ર મોદી પીએમ મટિરિયલ હોવાની વાત ભાજપના એકાદ અપવાદરૂપ નેતાને બાદ કરતાં બધાં જ કરી રહ્યા છે, પરંતુ તેઓ જ માત્ર પાર્ટીના વડાપ્રધાન પદના નેતા હોવા જોઈએ તેવું ભાજપના કોઈ નેતા કહી રહ્યા નથી. બધાં આ વાત પર છટકી જવાનો પ્રયત્ન વધારે કરે છે.

ભાજપની અંદર લોકસભામાં વિરોધ પક્ષના નેતા સુષ્મા સ્વરાજ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા અરુણ જેટલી પણ વડાપ્રધાન પદની રેસમાં સામેલ છે. આ સિવાય ક્યારેક નીતિન ગડકરી અને રાજનાથ સિંહ સહીત અન્ય નામો પણ ઉછળતા રહ્યા છે. જો કે બંનેએ પોતે વડાપ્રધાન પદના ઉમેદવાર હોવાનો ઈન્કાર કર્યો છે. તો વળી જેડીયૂના નેતા અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને પણ એનડીએ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવારની રેસમાં ‘ડાર્ક હોર્સ’ ગણવામાં આવી રહ્યા છે. પરંતુ તે ત્યારે જ શક્ય બને કે એનડીએમાં ભાજપનું સ્થાન નબળું બને અને 2014માં જેડીયૂનો દેખાવ ધાર્યા કરતા વધારે સારો થાય.

ત્યારે આગામી લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન પદના ઉમેદવારોની પસંદગી ભાજપ અને કોંગ્રેસ માટે ઘણી મહેનતની કવાયત થઈ પડશે. જો કે રાહુલ ગાંધી પોતાની નેતાગીરીને જનતામાં તાર્કિક રીતે સાબિત કરી શકશે, તો કોંગ્રેસમાં 2014ની ચૂંટણી માટે 42 વર્ષના રાહુલ ગાંધી વડાપ્રધાન પદના ઉમેદવાર બની શકશે. પ્રિયંકા ગાંધીએ પણ રાજકારણમાં આવવાના સંકેતો આપી દીધા છે, ત્યારે 40 વર્ષના પ્રિયંકા ગાંધી પણ સંજોગો ઉભા થશે તો વડાપ્રધાનની રેસમાં આગળ આવી જશે.

તો સામે પક્ષે ભાજપમાં 85 વર્ષના અડવાણીને વડાપ્રધાન પદના ઉમેદવારની રેસમાંથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે બહાર હાંકી કાઢયા છે, પરંતુ એનડીએમાં સ્વીકૃત નેતાગીરીની વાત આવશે ત્યારે તેમના નામનો વિચાર થવાની શક્યતા જાણકારો નકારતા નથી. તો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો ઘોડો પણ વિનમાં છે. અનિલ અંબાણીએ ધીરુભાઈ અંબાણીની વાતને ટાંકીને નરેન્દ્ર મોદીને લાંબી રેસનો ઘોડો કહ્યા છે. ત્યારે 61 વર્ષના મોદી પણ વડાપ્રધાન પદના ભાજપ તરફથી ઉમેદવાર બની શકશે. આવી સ્થિતિમાં મુકાબલો રાહુલ-પ્રિયંકા વિરુદ્ધ અડવાણી-મોદીનો રહેશે.

જો કે હાલ વાત યુવા નેતૃત્વની થઈ રહી છે, ત્યારે 85 વર્ષના અડવાણી કરતાં 61 વર્ષના મોદી યુવાન છે. અને તે બંને કરતાં 40-42 વર્ષની ઉંમર ધરાવતા પ્રિયંકા અને રાહુલ ગાંધી વધારે યુવાન છે. 2014માં મતદારો જણાવશે કે દેશનું નેતૃત્વ ક્યાં યુવાન નેતાના હાથમાં જાય?

No comments:

Post a Comment