Φ अपना विषय खोजे

Tuesday, April 24, 2012

25 કરોડ લોકોના રોજગાર પર સંકટ

25 કરોડ લોકોના રોજગાર પર સંકટની કાળીછાયા




મલ્ટીબ્રાન્ડ રીટેલમાં સરકારે 51 ટકા વિદેશી મૂડી રોકાણને શરતી મંજૂરી આપી દીધી છે. જ્યારે સિંગલ બ્રાન્ડ રીટેલમાં 100 ટકા વિદેશી મૂડી રોકાણને શરતી મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારનો આ નિર્ણય જી-20 દેશોના દબાણમાં લેવામાં આવ્યો છે. ભારતીય રીટેલ બજારમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણની મર્યાદા વધારવા માટે જી-20 દેશો વડાપ્રધાન મનમોહન સિંહને બેઠકોમાં બોલાવી આનું દર વખતે દબાણ કરતાં હતા. જી-20 સમૂહના દેશોમાં રીટેલ કારોબારમાં પ્રત્યક્ષ મૂડી રોકાણને ખુલ્લી છૂટ આપવાનો કરાર પહેલા જ થઈ રહ્યો છે. એટલે કે દેશની નીતિનું નિર્ધારણ જી-20 સમૂહની બેઠકમાં મનમોહન પર દબાણ કરીને લેવડાવી દેવામાં આવ્યું છે. સંસદના શિયાળુ સત્રમાં તેની માત્ર કેન્દ્રીય કેબિનેટ તરફથી મંજૂરી અપાવીને જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય કાયદામંત્રી સલમાન ખુરશિદે સંસદ બહાર કહ્યુ હતું કે રીટેલમાં એફડીઆઈનો મુદ્દો નીતિ વિષયક છે, તેની સંસદમાં ચર્ચાની જરૂર નથી. વળી જે રાજ્યો રીટેલમાં એફડીઆઈને મંજૂરી આપવા ન ચાહે તેઓ તેમ કરવા માટે સ્વતંત્ર છે. પરંતુ યુપીએ સરકારના ઘટક દળના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સરકારની અંદરથી નારાજગીના સૂર વ્યક્ત કર્યા. તેની સાથે ડાબેરી મોરચો, ભાજપ, બીએસપી અને અન્ય તમામ રાજકીય પક્ષોએ રીટેલમાં એફડીઆઈને મંજૂરી સામે વિરોધના સૂર વ્યક્ત કર્યા.

ભાજપના વરિષ્ઠ નેતા ઉમા ભારતીએ કહ્યું છે કે વોલમાર્ટના સ્ટોર ભારતમાં ખુલશે, તો તેને તેઓ ખુદ આગ લગાડશે અને તેના માટે તેઓ જેલમાં જવા માટે પણ તૈયાર છે. તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ કહ્યું છે કે તેઓ જ્યાં સુધી સત્તા પર છે, ત્યાં સુધી તેઓ ઉત્તર પ્રદેશમાં વિદેશી મલ્ટીબ્રાન્ડ રીટેલને ઘૂસવા દેશે નહીં. તેમણે રીટેલમાં વિદેશી રોકાણની છૂટને દેશને ગુલામ બનાવવાની સાજિશ ગણાવી છે. તેમણે કહ્યું છે કે રીટેલમાં વિદેશી મૂડી રોકાણ રાહુલ ગાંધીના વિદેશી મિત્રોને ફાયદો કરાવવા માટે કરવામાં આવી રહ્યું છે. જો કે માઝા મૂકતી મોંઘવારી કાબુમાં આવી જશે તેવા ઠાલા વાયદા કરતી સરકારને આશા છે કે રીટેલમાં એફડીઆઈની મંજૂરીથી મોંઘવારી છૂમંતર થઈ જશે.

જો કે વિશેષજ્ઞોનું એક જૂથ જણાવે છે કે દેશમાં સુપરમાર્કેટના કલ્ચરથી 1.2 કરોડ નાના દુકાનદારો, 4 કરોડ ફેરિયાઓ અને ઓછામાં ઓછા 20 કરોડ જેટલાં નાના ખેડૂતોની આજીવિકા જોખમમાં મૂકાશે. એટલે કે રીટેલમાં એફડીઆઈ અને સુપરમાર્કેટના આમંત્રણથી દેશના ઓછામાં ઓછા 25થી 26 કરોડ લોકોની રોજગારી પર પ્રશ્નાર્થ મૂકાઈ જશે. આવી સ્થિતિમાં દેશનું શું દ્રશ્ય હશે, તેનો વિચાર કરીને જ કોઈને પણ કંપકપી થઈ જશે. ભારતીય રીટેલ વેપારમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વધારે રોકાણને મંજૂરી ખેડૂતોના હિતમાં કરવામાં આવેલો નિર્ણય ગણાવવા વેપારી સરકારના એજન્ટ જેવાં મંત્રીઓ ઘણાં કથિત બૈદ્ધિક તર્કો આપી રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે સૌથી વધારે સુપરમાર્કેટ ધરાવતા અમેરિકાના ખેડૂતો લાભ મેળવવામાં પાછા કેમ પડે છે? અમેરિકાની સરકારે તેમને ભારે ભરખમ સબસિડી કેમ આપવી પડે છે? જ્યારે દુનિયાનું સૌથી મોટું રિટેલર જૂથ વોલમાર્ટ અમેરિકામાં જ છે, તો તેનાથી ત્યાંના ખેડૂતો ખુશહાલ બની જવા જોઈતા હતા. પરંતુ વાર્ષિક 21 લાખ કરોડનો ધંધો કરતી વોલમાર્ટ કંપનીના હોવા છતાં અમેરિકાના ખેડૂતોને ત્યાં સુખનો સૂરજ ઉગી શક્યો નથી. અમેરિકાની સરકારે ખેડૂતોની પરિસ્થિતિ સુધારવા માટે 1995થી 2009ની વચ્ચે 12.5 લાખ કરોડ ડોલરની ભારે ભરખમ સબસિડી આપી છે. તેમ છતાં અમેરિકાનો ખેડૂત ખેતીવાડી છોડવા માટે મજબૂર બન્યો છે અને ગરીબી વધી રહી છે. પરિસ્થિતિ એ છે કે 28 કરોડની વસ્તીવાળા અમેરિકામાં ખેડૂતોની સંખ્યા 7 લાખથી પણ ઓછી થઈ ગઈ છે અને વર્ષ 2000 બાદની વસ્તીગણતરીમાં ખેડૂતોની અલગથી ગણતરી કરવાનું જ બંધ કરી દેવામાં આવ્યું છે.

અમેરિકા જ નહીં, દુનિયાના ઘણાં દેશોમાં મોટા રીટેલરોની ઓછી કિંમતોને કારણે ખેતી ખરાબ થઈ છે અને સાથે સ્થાનિક નાના રીટલરોનો કચ્ચરઘાણ નીકળ્યો છે. યૂરોપમાં મોટા રીટેલરોના બજારમાં છવાયા બાદ દર મિનિટે એક ખેડૂત ખેતીથી અળગો થઈ રહ્યો છે. એક રિપોર્ટ પ્રમાણે, ફ્રાંસમાં 2009માં ખેડૂતોની આવક 39 ટકા ઘટી છે. આ પહેલા 2008માં ફ્રાંસમાં ખેડૂતોની આવકમાં 20 ટકાનો ઘટાડો થઈ ચુક્યો હતો. સ્કોટલેન્ડમાં મોટી સંખ્યામાં ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડૂતો પોતાનો ધંધો છોડી રહ્યા છે. આ બધાંનું કારણ સુપરમાર્કેટની ઓછી કિંમતોને ગણાવાય રહ્યું છે. ઉરુગ્વે, આર્જેન્ટિન અને કોલંબિયા જેવાં લેટિન અમેરિકી દેશોમાં પણ બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા ચલાવાય રહેલી સુપરમાર્કેટોથી ખેડૂતોની હાલત ખરાબ છે. આવી પરિસ્થિતિમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બહુરાષ્ટ્રીય રીટેલ ચેન ભારતીય કૃષિની કાયાકલ્પ કરી નાખશે. પરંતુ આ વાત અહીંના ખેડૂતો અને નાના રીટેલરો સાથે જ છેતરપિંડી નથી, પરંતુ સમગ્ર દેશ માટે વિશ્વાસઘાત છે.
ઉલ્લેખનીય છે કે ઉદારીકરણના તબક્કાની શરૂઆતથી દેશમાં ચાલેલી આર્થિક નીતિઓને કારણે કૃષિ પ્રધાન ગણાતા ભારતમાં ખેતી પર નભતી વસ્તી 80 ટકામાંથી ઘટીને 65 ટકાની આસપાસ પહોંચી ગઈ છે. કદાચ એક દશકા બાદ ભારતને કૃષિ પ્રધાન કહેવો કે નહીં તે પણ સવાલ ઉભો થશે. દેશમાં છેલ્લા દશ વર્ષમાં 12 લાખ જેટલાં ખેડૂતોએ ખેતીમાં ઉભી થતી વિવિધ સમસ્યાઓથી ત્રસ્ત થઈને આત્મહત્યા કરી છે. આ સિલસિલો વત્તાઓછા પ્રમાણમાં ભારતના વિવિધ રાજ્યોમાં ચાલુ છે. ત્યારે મલ્ટીબ્રાન્ડ રીટેલમાં એફડીઆઈ ખેડૂતોની આત્મહત્યામાં વધારો નહીં કરે? પણ અમેરિકાના ઈશારે જી-20 દેશોના દબાણ નીચે નિર્ણયો કરનારા વડાપ્રધાન મનમોહન સિંહ આ બાબતે વધારે વિચારતા હોય તેવું હજી સુધી લાગ્યું નથી. જો કે મમતા બેનર્જીના દબાણ નીચે યુપીએ સરકાર સંસદમાં રીટેલમાં એફડીઆઈનો મુદ્દે ચર્ચા કરવા તૈયાર થઈ છે, તેટલો તેમનો પાડ માની શકાય.

કહેવામાં આવે છે કે સરકારે રીટેલ વેપારીઓના હિતને સંરક્ષણ આપવા માટે કેટલીક શરતો લગાવી છે. જેમકે કંપનીઓ મોટા શહેરોની આસપાસ જ કારોબાર કરશે અને 30 ટકા સામાન નાના ઉત્પાદકો પાસેથી ખરીદશે. પરંતુ અનુભવ એવો જ રહ્યો છે કે આ કંપનીઓને બોલાવતી વખતે કંઈક શરતો લગાવાય છે અને જ્યારે તેના વિસ્તરણ કરવાની વાત આવે છે, ત્યારે બીજી શરતો લગાવી દેવાય છે. પહેલા 30 ટકા સ્થાનિક લોકોને રોજગાર આપવાની વાત થઈ રહી હતી. પરંતુ હવે આવી શરત લગાવવામાં આવી નથી.

સરકાર દાવો કરી રહી છે કે કંપનીઓ કૃષિ ઉત્પાદનોના સંસ્કરણ અને કોલ્ડ સ્ટોરેજની શ્રૃંખલાના માળખા પર મોટી રકમનું રોકાણ કરશે. બીજી તરફ સુપરમાર્કેટ તરફથી દાવો થઈ રહ્યો છે કે તેમને ત્યાં વચેટિયાં નહીં હોય, તેનાથી ખેડૂતોને વધારે ભાવ મળશે. પરંતુ હકીકતમાં તેનાથી ઉલ્ટું જ છે. સુપરમાર્કેટ ખુદ એક બહુ મોટા વચેટિયા કે દલાલની ભૂમિકામાં છે. તેઓ આ ધંધાની નાની માછલીઓને ગળી જાય છે. ધોતી-કુરતાવાળા પરંપરાગત શેઠિયાઓની જગ્યા સુપરમાર્કેટના ટાઈ-બેલ્ટવાળા દલાલો આવી જશે. તેમાંથી કેટલાંક મોટા વચેટિયા કમીશન પણ લેવા લાગ્યા છે. રિટેલરોના વચેટિયાઓના જૂથમાં ગુણવત્તા નિયંત્રક, સર્ટિફિકેશન એજન્સી, પેકેજિંગ ઉદ્યોગ, સંસ્કરણ ઉદ્યોગ અને હોલસેલ વિક્રેતાઓ સામેલ છે. આ નવા વચેટિયાઓને કારણે ખેડૂતોની આવક ઘટી જશે અને સુપરમાર્કેટનો નફો આસમાને પહોંચશે. તેના પરિણામે શક્યતા એવી છે કે ખેડૂતોનું નિકંદન નીકળશે અને તેમની આત્મહત્યાનો સિલસિલો થોભવાને સ્થાન વધશે. વળી મોંઘવારીથી ત્રસ્ત આમ આદમીને પણ કોઈ રાહત થશે નહીં, કારણ કે નફો સુપરમાર્કેટના ખિસ્સામાં જવાનો છે અને આમ આદમીને મોઢું વકાસીને જી-20 દેશો દ્વારા અમેરિકાની પ્રેરણાથી ભારતમાં લાગુ થનારી વ્યવસ્થાને જોયા સિવાય અને તેનો ભાગ બન્યા સિવાય કોઈ અન્ય વિકલ્પ રહેશે નહીં.

અમેરિકાના જુદાજુદા રાજ્યોમાં વોલમાર્ટના ફેલાવાને કારણે ગરીબી પર પડનારા અસર પર એક અભ્યાસ કરવામાં આવ્યો છે. ‘વોલમાર્ટ અને ગરીબી’ વિષય પર અમેરિકાની પેનસિલવેલનિયા યૂનિવર્સિટીના કૃષિ અર્થશાસ્ત્ર અને ગ્રામીણ સમાજશાસ્ત્ર વિભાગના સ્ટીફન જે. ગોએત્જ અને હેમા સ્વામીનાથને 2004માં સંશોધન કર્યું છે. આ સંશોધન અભ્યાસ પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે 1987માં જે અમેરિકી રાજ્યોમાં વોલમાર્ટના વધારે સ્ટોર હતા, ત્યાં 1999માં ગરીબીનો દર એ રાજ્યોની સરખામણીએ વધારે હતો, જ્યાં વોલમાર્ટના સ્ટોર ઓછા હતા. જે જિલ્લમાં 1987થી 1998ની વચ્ચે વોલમાર્ટના સ્ટોર ખુલ્યા છે, તે રાજ્યોમાં પણ ગરીબીનો દર વધારે રહ્યો હતો. અભ્યાસ પરથી એમ પણ નિષ્કર્ષ નીકળ્યો હતો કે આ ક્ષેત્રોમાં ગરીબી એ વખતે વધી, જ્યારે અમેરિકાના અન્ય ભાગોમાં ગરીબી ઘટી રહી હતી. વોલમાર્ટ જેવી વિદેશી રીટેલ કંપનીઓથી ભારતના રીટેલરોને પરસેવો છૂટી રહ્યો છે. કારણ કે વોલમાર્ટ સ્ટોર્સ કોર્પોરેશન દુનિયાની સૌથી મોટી રીટેલ કંપની છે. તેનો વાર્ષિક કારોબાર 21 લાખ કરોડ રૂપિયા છે. તે દુનિયામાં ખાણીપીણીના સામાનનું સૌથી વધારે વેચાણ કરનારી કંપની છે. દુનિયાના 15થી વધારે દેશોમાં વોલમાર્ટના સાડા આઠ હજાર જેટલાં સ્ટોર્સ છે અને તેમાં લગભગ 21 લાખ લોકો કામ કરે છે. 2010માં વોલમાર્ટમાં 770 કરોડ લોકોએ ખરીદી કરી હતી, જ્યારે દુનિયાની કુલ વસ્તી 700 કરોડથી વધારે છે. વોલમાર્ટનો વાર્ષિક કારોબાર વિશ્વની 23મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બરાબર થવા જાય છે. મનમોહન સરકારની મલ્ટીબ્રાન્ડ રીટેલમાં 51 ટકાની એફડીઆઈથી ભારતમાં વોલમાર્ટ જેવાં ઘણાં વાવાઝોડાં આવે તેવી શક્યતા છે. તેમાં ભારતના ખેડૂતો અને રીટેલરોનું શું થશે તે સંદર્ભે ઈશ્વર જ માલિક છે હવે!

ખેતીની સાથે રોજગારની સ્થિતિ પણ ભયાનક રહી છે. ઈંગ્લેન્ડમાં ટેસ્કોએ 11 હજાર અને સેન્સબરીએ 13 હજાર રોજગાર ઉભા કરવાનો વાયદો કર્યો હતો. બે વર્ષ બાદ ખબર પડી કે આ કંપનીઓએ કેટલાંક સો લોકોને રોજગાર આપ્યો છે. જ્યારે તેમના કારણે ઈંગ્લેન્ડમાં ઘણાં વધારે લોકોના ધંધા-રોજગાર બંધ થઈ ગયા છે. વિશ્વના સૌથી વધારે ગરીબ ધરાવતાં ભારતમાં નાની ફેરી કરીને આજીવિકા કમાનારા 4 કરોડથી વધારે લોકો છે. તેમનું ભવિષ્ય આનાથી અંધકારમય બની જશે. દેશમાં કુલ 25 કરોડ લોકોના રોજગારને સુપરમાર્કેટોથી સીધી અસર પહોંચે તેવી સંભાવના રહેલી છે.
હકીકતમાં દેશમાં અત્યારે જરૂરત છે કે દેશભરમાં મંડીઓની સ્થાપનામાં સરકારી ખર્ચ વધારવામાં આવે, સરકારી ખરીદીના માધ્યમથી ખેડૂતોને બહેતર મૂલ્ય નિર્ધારણ કરવામાં આવે અને પાકના ભંડારણ અને વિતરણ માટે મજબૂત તંત્ર ઉભું કરવામાં આવે. પરંતુ અમેરિકા અને જી-20 દેશોની આંગળીએ નાચ નાચતા અર્થશાસ્ત્રી વડાપ્રધાન મનમોહન સિંહના મનમોહનોમિક્સમાં આવી કોઈ જોગવાઈ હવે રહી નહીં હોય!

No comments:

Post a Comment