Φ अपना विषय खोजे

Tuesday, April 24, 2012

રાજરમત કરનારા નેતાઓને લાલબત્તી

જનાક્રોશ સાથે રાજરમત કરનારા નેતાઓને લાલબત્તી



કૃષિ મંત્રી શરદ પવાર પર મોંઘવારી બેકાબુ થવા માટે ભૂતકાળમાં ઘણાં આરોપો લાગ્યા છે. પરંતુ તેમણે મોંઘવારી માટે પોતે જવાબદાર હોવાની વાતનો સદંતર ઈન્કાર કર્યા કર્યો છે. તેમણે મોંઘવારીને બેકાબુ થવામાં સરકારની સાંઝી જવાબદારી હોવાની વાત પણ કરી છે. પરંતુ દિલ્હીમાં ઈફ્કોના કાર્યક્રમમાં શરદ પવાર પર હુમલો કરવા માટે ટાંપીને બેઠેલા યુવક હરવિન્દર સિંહને શરદ પવારની કોઈ વાતની ખબર નહીં હોય અથવા તો તેને આવી કોઈ વાત ગળે ઉતરી નહીં હોય. દિલ્હીની કોર્ટે ભૂતકાળના એક ટેલિકોમ ગોટાળા માટે ભૂતપૂર્વ ટેલિકોમ મંત્રી સુખરામને પાંચ વર્ષની સજા આપી હતી. ત્યારે પણ આ યુવક કોર્ટ પરિસરમાં હતો અને કોર્ટમાંથી સજા ખાઈને બહાર આવી રહેલા સુખરામ પર હુમલો કર્યો હતો. તેના ગણતરીના દિવસોમાં જ દિલ્હી ખાતે હરવિન્દર સિંહે કૃષિ મંત્રી શરદ પવારને મોંઘવારીના મુદ્દે થપ્પડ ઝીંકી દીધી છે. શરદ પવારને અંદાજો પણ નહીં હોય કે દેશમાં થઈ રહેલી બેકાબુ મોંઘવારીની ગુંજ તેમના ગાલે સંભળાશે. આ ઘટના વખોડવા લાયક છે. તમામ રાજકીય પક્ષોએ તેને વખોડી છે. પરંતુ સવાલ એ છે કે આવી ઘટના શા માટે ઘટે છે? તેની પાછળ ક્યાં કારણો છે? શું ભારતના લોકો પોતાની ધીરજ ગુમાવી રહ્યા છે? શું ભારતના રાજનેતાઓને તેમની લોકલાગણી અને જનાક્રોશ સાથેની રાજરમત હવે ભારે પડી રહી છે? આ તમામ સવાલોના જવાબ સામાજિક અને રાજકીય સ્તરે મેળવવાનો પ્રયાસ મીડિયા સહીત તમામ વર્ગોએ કરવો જોઈએ.

દેશમાં છેલ્લા 7વર્ષથી મોંઘવારી સતત સરેરાશ બે અંકોમાં રહી છે. તાજેતરમાં મોંઘવારી માંડ બે અંકથી નીચે ગઈ છે. આ દેશમાં 70 કરોડ લોકો ગરીબ છે. ગરીબીની રેખા નીચે જીવતા રોજના માંડ 32 રૂપિયા પણ ન મેળવતા લોકોના જીવન માઝા મૂકી રહેલી મોંઘવારીમાં ભારે મુશ્કેલીવાળા બની ગયા છે. જો કે આવી દારૂણ પરિસ્થિતિમાં પણ સરકાર બેશરમીથી જવાબ આપી રહી છે કે દેશમાં ભૂખમરાથી છેલ્લા બે વર્ષમાં કોઈપણ મૃત્યુ થયું નથી. પરંતુ હકીકત એ છે કે દારૂણ ગરીબીવાળા અને વિકાસથી વંચિત વિસ્તારોમાં આજે પણ લોકોને અનાજના વિકલ્પ તરીકે જીવલેણ પાંદડાની ભાજી ખાઈને જીવન ગુજારવું પડે છે. તેમ છતાં વક્રતા એ છે કે દેશની અર્થવ્યવસ્થાનો પાયો દેશના નાણાં મંત્રી પ્રણવ મુખર્જીને મજબૂત લાગી રહ્યો છે. ભારતની અર્થ વ્યવસ્થા ચીન સાથે સ્પર્ધા કરી રહી છે. ભારત વિશ્વનું સૌથી મોટું બજાર બનીને દુનિયાની સામે છે. હવે ભારતના મલ્ટિબ્રાન્ડ રિટેલમાં 51 ટકાને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. સિંગલ બ્રાન્ડ રિટેલમાં 100 ટકા એફડીઆઈને મંજૂરી મળી ગઈ છે.

ત્યારે સવાલ એ છે કે ભારતના મધ્યમ વર્ગથી ત્રણ ગણા મોટા ગરીબો માટે વિચારવા માટે ભારતના રાજનેતાઓ પાસે સમય નથી. દર વર્ષે મધ્યમ વર્ગમાંથી ગરીબ વર્ગમાં ધકેલાનારા પરિવારોની સંખ્યા ઘણી મોટી છે. જો કે ગરીબ વર્ગમાંથી મધ્યમ વર્ગમાં આવનારા લોકોની સંખ્યા ઘણી નહીવત છે. આ હકીકત હોવા છતાં આપણા ભારતનો વિકાસ દર 8-9 ટકા હોવાની ગુલબાંગો પોકારવામાં આવી રહી છે. વિકાસના રાગડા તાણતા રાજકારણીઓને ભારતની ગરીબી દેખાતી નથી. જો કે હકીકતમાં એવું છે કે તેઓ ભારતની ગરીબી પ્રત્યે અને ભારતના ગરીબો પ્રત્યે આંખ આડા કાન કરીને તેમને મોંઘવારીનું ધીમું ઝેર આપીને ઠેકાણે પાડવા માંગે છે. આ દેશ માત્ર મૂડીવાદી માનસિકતા ધરાવતા કેટલાંક ધનવાનોનો દેશ બની ગયો છે. આ દેશનો ખેડૂત આત્મહત્યા કરી રહ્યો છે. ભારતનું ઝડપથી શહેરીકરણ થઈ રહ્યું છે. ભારતનું ઝડપથી ઉદ્યોગીકરણ થઈ રહ્યું છે. ખેતીલાયક જમીન છેલ્લા એક દશકમાં 10 લાખ હેક્ટર જેટલી ઓછી થઈ છે. માંસની નિકાસમાં ભારતે ડંકો વગાડયો છે. વિશ્વમાં ભારત માંસ નિકાસકર્તામાં ત્રીજા સ્થાને છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં વિશ્વનું સૌથી વધુ પશુધન છે. પરંતુ જે તીવ્રતાથી દેશમાંથી માંસની નિકાસ થઈ રહી છે અને કતલખાના વધી રહ્યા છે તેના પરથી લાગી રહ્યું છે કે આ દેશ માંસ નિકાસમાં પ્રથમ સ્થાને પહોંચશે પછી લાંબો સમય સુધી ત્યાં ટકી નહીં શકે. કારણ કે દેશનું પશુધન તો આપણે ખતમ કરી નાખ્યું હશે.

દેશમાં કુટિર ઉદ્યોગ અને ખેતી-પશુપાલન આધારીત ઉદ્યોગોનું નિકંદન નીકળી રહ્યું છે. રિટેલમાં વિદેશી નાણાંની ઘૂસણખોરી પણ ખતરનાક છે. તેના કારણે દેશમાં મોંઘવારી વધારે તીવ્રતાથી આગળ વધે તેવી શક્યતા છે. ત્યારે ગરીબ માણસને ભારતમાં જીવન જીવવું દુભર બની જશે. આવી પરિસ્થિતિ પેદા થઈ રહી છે અને દેશના નીતિ-નિર્ધારકો કહે છે કે મોંઘવારી ઘટાડવા માટે તેમની પાસે જાદૂની લાકડી નથી. પરંતુ હકીકત એ છે કે મોંઘવારી વધારવા માટે તેમની પાસે જાદૂઈ લાકડી ઉપલબ્ધ હોય છે. છેલ્લા બે વર્ષથી દેશના અર્થશાસ્ત્રી પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહ અને સક્ષમ નાણાં મંત્રી પ્રણવ મુખર્જી દેશની જનતાને આ ડિસેમ્બર કે માર્ચમાં ઘટી જશેના ઠાલા વાયદા કરતાં રહે છે. આવી સ્થિતિમાં ગરીબો અને મધ્યમ વર્ગનું જીવન દુભર બની રહ્યું છે અને વક્રતા એ છે કે સરકાર દેશના વિકાસ દરને ટકાવી રાખવાની ચિંતામાં દેશના આમ આદમીની ચિંતા કરવાનું ભૂલી ગઈ છે. ત્યારે દેશમાં આમ આદમી ક્યાં સુધી પોતાની ધીરજ ટકાવી શકશે? આમ આદમી ક્યાં સુધી દેશના રાજનેતાઓની લોકલાગણીને આંગળી કરવાની નીતિઓ સામે પોતાનો જનાક્રોશ દબાવી શકશે? માની લો કે હરવિન્દર સિંહ નામનો યુવાન પાગલ હશે, પરંતુ તેને પાગલ બનાવવામાં સરકારની શું ભૂમિકા છે? માની લો કે હરવિન્દરને મીડિયામાં ચમકવાની કોઈ મહત્વકાંક્ષા હશે. પરંતુ લોકોમાં તેના આવા વખોડવા લાયક કૃત્યથી તે હીરો બની જાય તેવી પરિસ્થિતિ ઉભી કરવા માટે સરકાર કેટલી હદે જવાબદાર છે?

શરદ પવારને લાફો ઝીંકાયો ત્યારે ગાંધીવાદી અણ્ણા હજારેની પ્રતિક્રિયા હતી કે શું શરદ પવારને માત્ર એક જ લાફો મારવામાં આવ્યો? જો કે શરદ પવારની મજાક કર્યા બાદ અણ્ણા પોતાના સ્ટેન્ડમાંથી ફરી ગયા અને તેમણે સમગ્ર ઘટનાને વખોડી પણ તેમણે એવું તો કહ્યું જ કે લોકોમાં ભ્રષ્ટાચાર અને મોંઘવારી સંદર્ભે ઘણો ગુસ્સો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાણાં મંત્રી યશવંત સિંહાએ સરકારને મોંઘવારી સુપેરે કાબુમાં લેવાની ચેતવણી આપી હતી. તેમણે મોંઘવારી કાબુમાં લેવામાં નહીં આવે, તો દેશભરમાં હિંસા ફાટી નીકળવાની શક્યતા દર્શાવી હતી. યશવંત સિંહાના આ નિવેદનને કોંગ્રેસ શરદ પવાર પરના હુમલા માટે જવાબદાર ગણાવે છે અને તેમને વિપક્ષનું આમા ષડયંત્ર દેખાય છે. આની તપાસ થવી જોઈએ. પરંતુ વિશ્લેષણ એ પણ થવું જોઈએ કે શું યશવંત સિંહા દેશમાં માઝા મૂકતી મોંઘવારીથી ઉભી થનારી પરિસ્થિતિને સારી રીતે વાંચી રહ્યા છે?

દેશમાં છેલ્લા કેટલાંક સમયથી બની રહેલી ઘટનાઓ ચિંતાજનક છે. અમરનાથ યાત્રા અને અમરનાથના શિવલિંગ પર બેફટ લોકલાગણી વિરુદ્ધની ટિપ્પણી કરવા બદલ સ્વામી અગ્નિવેશને અમદાવાદમાં તમાચો પડયો. ટીમ અણ્ણાના પ્રખ્યાત વકીલ પ્રશાંત ભૂષણે જમ્મુ-કાશ્મીરમાં જનમત લઈને આઝાદી આપવાની તરફેણ કરી તો કેટલાંક માથા ફરેલા યુવાનોએ તેમને સુપ્રીમ કોર્ટ પરિસર ખાતેની તેમની ચેમ્બરમાં ઠમઠોર્યા અને હવે શરદ પવારને મોંઘવારીની થપ્પડ પડી. પરંતુ આમ આદમીમાં આ ઘટનાઓની પ્રતિક્રિયા જોઈએ તો મોટાભાગે લોકોને પોતાની લાગણીનો પડઘો પડયો હોવાની લાગણી થઈ રહી છે. વળી રાજકીય પક્ષો અને નેતાઓએ આવી ઘટનાને વખોડી છે. પરંતુ તેમણે આવી ઘટના શા માટે બની રહી છે, તેના કારણો શોધવાની વાત પણ એક યા બીજી રીતે કરી છે.

ટીમ અણ્ણાના મહત્વના સભ્ય કિરણ બેદીએ કહ્યું છે કે શિયાળુ સત્રમાં મજબૂત લોકપાલ બિલ પારીત નહીં થાય, તો વધારે થપ્પડ પડશે. ત્યારે ખરેખર બ્લેકકેટ કમાન્ડોના સુરક્ષાચક્રમાં ઘૂમી રહેલા રાજકારણીઓએ વિચારવું પડશે કે જો ભારતનો આમ આદમી વિફરશે તો તેમને કોઈ બ્લેકકેટ કમાન્ડોનું સુરક્ષાચક્ર બચાવી શકશે નહીં. ભારતના રાજનેતાઓએ ભારતના લોકોની લાગણીઓ સાથેની રાજરમત બાજુએ મૂકીને જનકલ્યાણની નીતિ અખત્યાર કરવી પડશે. તેમની જનાક્રોશ સાથેની રમત તેમના રાજકીય જીવન માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

No comments:

Post a Comment