Φ अपना विषय खोजे

Saturday, April 14, 2012

ભાજપ 32 વર્ષના ગાળામાં ત્રણ વખત કેન્દ્રની સત્તા પર આવવામાં સફળ

ભાજપના પૂર્વવતી ભારતીય જનસંઘની સ્થાપના વખતે આરએસએસના તત્કાલિન સરસંઘચાલક એમ. એસ. ગોલવલકરે આશિર્વાદ આપ્યા હતા, પરંતુ 2009માં નિયુક્તિ વખતે સરસંઘચાલક મોહન ભાગવતે ભાજપને કેમોથેરેપી આપવાની વાત કરી હતી. આ સિવાય કેટલાંક હિંદુવાદી સંગઠનો અને વિચારકો 1990થી 1999 સુધી હિંદુઓની રાજકીય અભિવ્યક્તિના મંચ તરીકે ભાજપને જોતા હતા. પરંતુ અત્યારે આ લોકો અને સંગઠનો જ હિંદુત્વ માટે અન્ય વૈકલ્પિક રાજકીય મંચની વાત કરી રહ્યા છે..........

દેશની રાજનીતિના બીજા ધ્રુવ તરીકે જાણીતી ભારતીય જનતા પાર્ટીનો આજે 32મો સ્થાપના દિવસ છે. પરંતુ 32મા સ્થાપના દિવસે ભારતની રાજનીતિમાં સ્વતંત્રતા આંદોલનનો તમામ જશ ખાટી જનારી કોંગ્રેસ પાર્ટીની મોનોપોલી તોડનાર ભાજપે ઉજવણીની સાથે સાથે થોડું આત્મમંથન કરવું જોઈએ. ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપ 32 વર્ષના ગાળામાં ત્રણ વખત કેન્દ્રની સત્તા પર આવવામાં સફળ થઈ અને હાલ નવ રાજ્યોમાં તેની અથવા તેના વડપણ હેઠળના એનડીએની સરકાર છે. 2014માં કોંગ્રેસના વડપણવાળી યુપીએ સરકારના ખરાબ પ્રદર્શન અને ગોટાળાના વિક્રમો વચ્ચે ભાજપને ખૂબ મોટો ફાયદો થાય તેવી શક્યતા રહેલી છે.

પરંતુ હાલ જૂથબંધી અને નેતાઓના અહમની સમસ્યાઓથી ઘેરાયેલા ભાજપે અટલ બિહારી વાજપેયી જેવા કરિશ્માઈ નેતાનો વિકલ્પ ઉભો કરવા, હાલના સૌથી મોટા માસ લીડર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની નારાજગી દૂર કરવા અને યેદિયુરપ્પાની દાદાગીરીનો તોડ મેળવવાની સમસ્યાથી તો સમાધાન મેળવવું પડશે. પરંતુ તેની સાથે યૂપી સહીતના હિંદી બેલ્ટમાં ફરીથી પોતાના પ્રભાવ દ્રઢ બનાવવા માટે પણ વિચાર કરવો પડશે. હાલ બિહાર અને મધ્ય પ્રદેશમાં ભાજપનો ખાસો પ્રભાવ છે અને તે ત્યાં સરકારમાં છે. પરંતુ હિંદી બેલ્ટમાંથી રાજસ્થાન અને યૂપીની આમાથી બાદબાકી કરી શકાય તેમ નથી. વળી ઉત્તરાખંડમાં પણ પાતળી બહુમતીથી કોંગ્રેસ સરકાર બનાવવામાં સફળ રહી છે.

2014ની લોકસભાની ચૂંટણી પહેલા એક સર્વસંમત નેતાની પસંદગી ભાજપની હાલની સૌથી મોટી સમસ્યા છે. આ સિવાય વિચારધારાનું સંકટ પણ ભાજપ પર ઘણાં લાંબા સમય એટલે કે 2004ની લોકસભાની ચૂંટણીથી મંડરાઈ રહ્યું છે. ભાજપની પૂર્વવતી પાર્ટી ભારતીય જનસંઘની સ્થાપના 1951-52માં ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ કરી હતી. ભારતીય જનસંઘની સ્થાપના કોંગ્રેસ સાથેની કેટલીક વૈચારીક અસહમતિઓ સંદર્ભે ભારતીય રાજકારણમાં જવાબ આપવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તત્કાલિન સરસંઘચાલક એમ. એસ. ગોલવલકરની પ્રેરણાથી કરવામાં આવી હતી.

ભારતીય જનસંઘને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રાજકીય પાંખ તરીકે જ ઓળખવામાં આવતી હતી. તેમાં બલરાજ મધોક, દીનદયાળ ઉપાધ્યાય, અટલ બિહારી વાજપેયી, નાનાજી દેશમુખ અને અડવાણી સહીતના ઘણાં મોટા નેતાઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી જ પાર્ટીમાં ઉતારવામાં આવ્યા હતા. તેથી સ્વાભાવિક છે કે ભારતીય જનસંઘ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પ્રભાવ ઘણો મોટો હતો.

ભારતીય જનસંઘની સ્થાપના સમયે આઝાદી સમયે વિભાજનની વેદના પણ સમાજમાં બહુ મોટા પ્રમાણમાં જોવા મળતી હતી. વિભાજન માટે કોંગ્રેસની કેટલીક નીતિઓને અને રાજકારણને જવાબદાર માનનાર ઘણો મોટો વર્ગ હતો. પરંતુ તેની રાજકીય અભિવ્યક્તિ ન હતી. તેથી ભારતીય જનસંઘ હિંદુત્વ અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની વિચારધારા સાથે મેદાનમાં આવ્યો હતો. જો કે તેના સંસ્થાપક પ્રમુખ શ્યામ પ્રસાદ મુખર્જીનું 1953માં કાશ્મીર સત્યાગ્રહ દરમિયાન જમ્મુ-કાશ્મીરની જેલમાં વિવાદાસ્પદ સંજોગોમાં નિધન થયું હતું. જેને કારણે ભારતીય જનસંઘને લોકો સુધી પહોંચાડવામાં ઘણો મોટો ફટકો પડયો હતો. પરંતુ ત્યાર બાદ જનસંઘની બાગડોર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક દીનદયાળ ઉપાધ્યાયના હાથમાં આવી હતી.

પોતાની સ્થાપનાના પહેલા દશકમાં ભાજપના પૂર્વવતી ભારતીય જનસંઘે જમ્મુ-કાશ્મીરના ભારતમાં અર્થપૂર્ણ જોડાણ, ગૌહત્યા પ્રતિબંધ, ક્ષેત્રીય અખંડતા, હિંદુત્વ જેવા મુદ્દાઓ પર વધારે ધ્યાન કેન્દ્રીત રહ્યુ હતું. આ સિવાય જમીનદારી અને જાગીરદારી વિરુદ્ધ આ પાર્ટીએ વિરોધનું બ્યૂગલ વગાડયું હતું. પરમિટ લાઈસન્સ રાજ વિરુદ્ધ પણ આ પાર્ટીએ અવાજ ઉઠાવ્યો હતો. ભારત પરમાણુ શક્તિ બને તેના પક્ષમાં પણ ભારતીય જનસંઘ તેની શરૂઆતના ગાળાથી જ હતો.

આ મુદ્દાઓને કારણે જનતામાં ભારતીય જનસંઘની લોકપ્રિયતા વધવા લાગી હતી. જેના કારણે 1967માં કોંગ્રેસને સત્તા પરથી હટવું પડયું. પંજાબથી લઈને બંગાળ સુધી તમામ જગ્યાએ કોંગ્રેસ વિરોધી સરકાર અને અમૃતસરથી લઈને કોલકત્તા સુધી કોંગ્રેસનું ક્યાંય નામોનિશાન ન હતું.

પંડીત દીનદયાળ ઉપાધ્યાયની અધ્યક્ષતામાં કાલીકટમાં અભૂતપૂર્વ સંમેલન આયોજિત કરવામાં આવ્યું. અહીં રાષ્ટ્રીય ભાષા નીતિ પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો અને નિર્ણય કરવામાં આવ્યો કે તમામ ભારતીય ભાષાઓનો સમાદર કરતા, દેશમાં રાજભાષાની ગંગા વહેવડાવામાં આવશે.

પરંતુ આ ઐતિહાસિક સંમેલન બાદ પં. દીનદયાળ ઉપાધ્યાયની કેટલાંક દિવસોમાં હત્યા કરી દેવામાં આવી અને તેમની લાશ મુગલસરાય રેલવે સ્ટેશન પર પડેલી મળી હતી. ભારતીય જનસંઘને દીનદયાળ ઉપાધ્યાયની હત્યાથી ઘણો મોટો ફટકો પડયો હતો. તે વખતે સીબીઆઈની તપાસની માગણી કરવામાં આવી પરંતુ જે પ્રકારની તપાસ કરવામાં આવી તે રાજકારણથી પ્રેરીત હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો.

ત્યાર બાદ જનસંઘમાં બલરાજ મધોક અને અટલ બિહારી વાજપેયી વચ્ચેના રાજકીય દંગલમાં મધોકને જનસંઘ છોડવું પડયું. અટલ બિહારી વાજપેયીના હાથમાં ભારતીય જનસંઘની બાગડોર આવી હતી. તેમના નેતૃત્વમાં બાંગ્લાદેશના મુક્તિ આંદોલન માટે આ પક્ષે ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

જનસંઘે જેપી આંદોલનને પુરજોર સમર્થન આપ્યું. કટોકટી વખતે પણ જનસંઘી નેતાઓ અને કાર્યકર્તાઓની ધરપકડો કરવામાં આવી હતી. જનસંઘના કટોકટી સામેના પ્રયત્નોને દેશભરમાં ઘણી પ્રશંસા મળી હતી. 1977માં ઈન્દિરા ગાંધીની સરકારના પતન બાદ સત્તા પર આવેલી મોરારજી દેસાઈના વડપણવાળી જનતા પાર્ટીની સરકારમાં જનસંઘ પણ જોડાયું હતું. તે વખતે અટલ બિહારી વાજપેયી વિદેશ મંત્રી અને એલ. કે. અડવાણી માહિતી અને પ્રસારણ પ્રધાન બન્યા હતા. જો કે આ સરકાર 30 માસના ટૂંકાગાળામાં આંતરીક ડખાને કારણે પડી ગઈ હતી.

પરંતુ આ સમયગાળામાં જનસંઘની રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સદસ્યતાના મુદ્દે બેવડી સદસ્યતાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. જેના કારણે જનસંઘને જનતા પાર્ટીમાં ભેળવી દેવામાં આવ્યું હતું. પરંતુ ચૌધરી ચરણસિંહની ટૂંકાગાળાની સરકારના પણ ઘર ભેગા થયા બાદ જનતા પાર્ટીનું વિખંડન થયું અને 1980ની 6 એપ્રિલે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરવલામાં આવી.

ભારતીય જનતા પાર્ટીની સ્થાપના વખતે તેને પાર્ટી વિથ ધ ડિફરન્સ હોવાનો દાવો કરવામાં આવ્યો. તેની સાથે અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ગાંધીયન સોશ્યાલિજમની વિચારધારા હેઠળ 1984માં ચૂંટણીમાં ઉતરી. પરંતુ ઓપરેશન બ્લૂ સ્ટારના વિરોધમાં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની શીખ અંગરક્ષકો દ્વારા હત્યા બાદ કોંગ્રેસને સિમ્પથી વોટ મળ્યા અને ત્રણ ચતુર્થાંસ બહુમતી સાથે રાજીવ ગાંધી કોંગ્રેસ તરફથી વડાપ્રધાન બન્યા. જો કે ઓપરેશન બ્લૂ સ્ટાર અને શીખ વિરોધી રમખાણોનો ભાજપે ખૂબ વિરોધ કર્યો હતો. પરંતુ 1984ની ચૂંટણીમાં ગાંધીયન સોશ્યલિજમ સાથે અટલ બિહારી વાજપેયીની નેતૃત્વમાં આખા દેશમાંથી ભાજપને માત્ર બે બેઠકો મળી હતી.

આ હાર બાદ ભાજપની નેતાગીરીમાં ખૂબ આત્મમંથનનો દોર ચાલ્યો. ત્યાર બાદ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ની નાબૂદી, સમાન નાગરીક ધારા સહીત રામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિર નિર્માણના મુદ્દાને આગળ વધારવા માટે સહમતિ બની. રામજન્મભૂમિ આંદોલનમાં વિશ્વ હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ટેકામાં ભાજપના લાલકૃષ્ણ અડવાણીએ કમાન સંભાળી. જો કે 1984થી 1989 સુધી રામજન્મભૂમિ આંદોલને એટલી તીવ્રતા પકડી ન હતી. બોફોર્સ કાંડને કારણે તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધી સામે ભ્રષ્ટાચારના આરોપને કારણે લોકજુવાળ ઉભો થયો હતો. અને વી. પી. સિંહની બગાવતે કોંગ્રેસને સત્તામાંથી દૂર કરવામાં સફળતા મેળવી. 1989માં કેન્દ્રમાં જનતાદળની મોરચા સરકાર સત્તા પર આવી.

પરંતુ ઉત્તર પ્રદેશમાં મુલાયમ સિંહની સરકાર દ્વારા કારસેવકો પર ગોળીબારની ઘટના અને વી. પી. સિંહના વડપણ હેઠળની જનતાદળ મોરચા સરકારને બહારથી ટેકો આપી રહેલા ભાજપના હિંદુત્વના કાર્ડના તોડ માટે મંડલની રાજનીતિ શરૂ કરવામાં આવી. અનામતની રાજનીતિને આગળ વધતી રોકવા માટે ભાજપને તે વખતે નિર્ણય લેવો જરૂરી હતો. જો મંડલ રાજનીતિને આગળ વધારવામાં તત્કાલિન વડાપ્રધાન વી. પી. સિંહ સફળ થઈ જાત તો કદાચ ભાજપ માટે હિંદુત્વના કાર્ડ હેઠળ રામજન્મભૂમિ મુદ્દાને આગળ વધારવો અઘરો પડે તેમ હતું.

આથી અડવાણીએ આરએસએસ અને વીએચપીની સહમતિથી રામરથ યાત્રાની જાહેરાત કરી અને બિહારમાં સમસ્તીપુર ખાતે ધરપકડ વ્હોરી. ત્યાર બાદ વી. પી. સિંહની સરકારને ભાજપે ટેકો પાછો ખેંચતા તેને ઘર ભેગા થવું પડયું હતું.

રામજન્મભૂમિ આંદોલનમાં અગ્રિમ ભૂમિકાને કારણે અને અન્ય રાજકીય પક્ષો સાથે ગઠબંધનને પરિણામો ભાજપે 1989માં 89 બેઠકો પર જીત મેળવી અને 1991માં અયોધ્યા મુદ્દાના પરિણામે 119 બેઠકો પર વિજય હાંસલ કર્યો હતો.

1996માં ભાજપ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ઉભરી અને તત્કાલિન રાષ્ટ્રપતિ શંકર દયાળ શર્માએ અટલ બિહારી વાજપેયીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું. જો કે આ સરકાર બહુમતી સાબિત ન કરી શકતા 13 દિવસ જ ચાલી હતી. ત્યાર બાદ 1998માં ભાજપ 13 માસ માટે ગઠબંધનથી સત્તામાં આવી. પરંતુ જયલલિતા દ્વારા ટેકો પાછો ખેંચાતા, ગૃહમાં મતદાન વખતે એક વોટથી વાજપેયી સરકાર બહુમત હારી ગઈ.

1999માં એનડીએ ગઠબંધન હેઠળ ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી અને અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ નીચે પાંચ વર્ષ શાસન ટકાવી રાખવામાં સફળતા મેળવી. અટલ બિહારી વાજપેયીની પહેલી બિનકોંગ્રેસી સરકાર હતી કે જેણે કેન્દ્રમાં પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. જો કે એનડીએના કોમન મિનિમમ પ્રોગ્રામમાં રામમંદિર નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ની નાબૂદી અને સમાન નાગરીક ધારા જેવાં ત્રણ તેની વૈચારિક ધરાતલ સાથે સંકળાયેલા મુદ્દાને બહાર રાખ્યા.

જેના કારણે વીએચપી અને આરએસએસમાં અંદરખાને નારાજગી પ્રવર્તી રહી હતી. જો કે લોકોને પણ ભાજપ દ્વારા કરવામાં આવેલું રાજકીય સમાધાન ગમ્યુ ન હતું. તેનો જવાબ જનતાએ 2004ની ચૂંટણીમાં આપ્યો. 2004માં ભાજપ હિંદુત્વ અને રાષ્ટ્રવાદના મુદ્દા સિવાય ફીલ ગુડ સાથે ઈન્ડિયા શાઈનિંગ કેમ્પેઈન હેઠળ અટલ બિહારી વાજપેયી અને વિકાસના મુદ્દા સાથે ચૂંટણી મેદાનમાં ઉતરી. પરંતુ જનતાએ 2004માં એનડીએને બહુમતી આપી નહીં. ત્યાર બાદ 2009માં પણ એનડીએ હેઠળ ભાજપને સત્તા મળી નહીં.

જેના પરિણામો ભાજપમાં બેક ટુ ધ બેસિક્સની ચર્ચા ફરીથી શરૂ થઈ. પરંતુ લોકોમાં પાર્ટી વિથ ધ ડિફરન્સ પરથી વિશ્વાસ તદ્દન હટી ગયો હોય તેવી ઘટનાઓ એક પછી એક બનવા લાગી. લોકોએ ભ્રષ્ટાચાર વિરોધી અને કાળા ધનના મુદ્દે અણ્ણા હજારે અને બાબા રામદેવ સાથે શરૂઆતમાં ઉભા રહેવાનું પસંદ કર્યું પણ ભાજપને ટેકો આપ્યો નહીં. તો મોંઘવારી જેવા મુદ્દાને પણ ભાજપ સારી રીતે ઉઠાવી શક્યું નહીં. મુંબઈ પરના આતંકવાદી હુમલા બાદની અડવાણીની ભારત સુરક્ષા યાત્રા પણ નિષ્ફળ ગઈ. જે કામ વિરોધ પક્ષમાં રહીને ભાજપે કરવાનું હતું, તે કામ અણ્ણા હજારે અને બાબા રામદેવ કરી રહ્યા છે. આ ભાજપની વિરોધ પક્ષ તરીકેની અત્યાર સુધીની સૌથી મોટી નિષ્ફળતા છે.

ત્યારે ભાજપને આત્મમંથન કરવું જોઈએ કે કોંગ્રેસ અને યુપીએની તરફેણમાં એકપણ સ્થિતિ નહીં હોવા છતાં તેને યૂપીમાં સફળતા કેમ મળતી નથી? મોંઘવારીથી ત્રસ્ત જનતા તેના મોંઘવારી વિરોધી આંદોલનમાં કેમ સાથ આપતી નથી? ભ્રષ્ટાચાર અને કાળા ધન જેવાં આંદોલનના વિષયો અણ્ણા હજારે અને બાબા રામદેવના હાથમાં કેવી રીતે જવા દીધા?

ભાજપના પૂર્વવતી ભારતીય જનસંઘની સ્થાપના વખતે આરએસએસના તત્કાલિન સરસંઘચાલક એમ. એસ. ગોલવલકરે આશિર્વાદ આપ્યા હતા, પરંતુ 2009માં નિયુક્તિ વખતે સરસંઘચાલક મોહન ભાગવતે ભાજપને કેમોથેરેપી આપવાની વાત કરી હતી. આ સિવાય કેટલાંક હિંદુવાદી સંગઠનો અને વિચારકો 1990થી 1999 સુધી હિંદુઓની રાજકીય અભિવ્યક્તિના મંચ તરીકે ભાજપને જોતા હતા. પરંતુ અત્યારે આ લોકો અને સંગઠનો જ હિંદુત્વ માટે અન્ય વૈકલ્પિક રાજકીય મંચની વાત કરી રહ્યા છે.

ભાજપમાં હાલ વિચારધારાના સંકટની સાથે સાથે નેતૃત્વનું પણ સંકટ ચાલી રહ્યું છે. નીતિન ગડકરીને સંઘના દોરીસંચાર નીચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા. પરંતુ તેઓ માસ લીડર તો જવા દો, રાજ્ય સ્તરના પણ કદ્દાવર નેતા નથી. તેમને રાષ્ટ્રીય રાજનીતિનો અનુભવ નથી. પરંતુ અડવાણી, સુષ્મા, જેટલી, વેંકૈયાની ચોકડીના પ્રભાવને દૂર કરવાની જવાબદારી ગડકરીને સોંપવામાં આવી.

વાજપેયીની સક્રિય રાજકારણમાંથી દૂર થયા બાદ કરિશ્માઈ નેતૃત્વ માટે ઉમા ભારતી અને નરેન્દ્ર મોદી તરફ આશાથી જોવામાં આવતું હતું. પરંતુ ઉમા ભારતીને ભાજપમાંથી વનવાસ આપી દેવામાં આવ્યો અને હવે છેક 2011-12માં તેમની ઘરવાપસી કરવામાં આવી છે. જ્યારે નરેન્દ્ર મોદીને કેન્દ્રીય નેતાગીરી સાથે સંજય જોશીને ફરીથી પક્ષમાં લેવા માટે વિવાદના વાવડ છે. વળી કેન્દ્રીય નેતાગીરી ઈચ્છતી હોય તેમ લાગતું નથી કે નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય ફલક પર મોટી ભૂમિકામાં આવે. તેમને પાર્ટીમાં રહેલા વિરોધીઓ એક ચોક્કસ ઈમેજ હેઠળ ગુજરાત સુધી જ સીમિત રાખવા માંગે છે.

દક્ષિણ ભારતમાં યેદિયુરપ્પાના ભ્રષ્ટાચારના મામલામાં નામ આવવાથી કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી દૂર કરવામાં આવ્યા. પરંતુ હવે તેમણે ફરીથી કર્ણાટકના મુખ્મમંત્રી બનાવાના ઉધામા શરૂ કર્યા છે. જેના કારણે કર્ણાટકમાં ભાજપ માટે કફોડી સ્થિતિ વધુ વિકટ બને તેવી શક્યતાઓ સેવાય રહી છે. તો બીજી તરફ પાંચ રાજ્યોની તાજેતરની ચૂંટણીમાં ગોવા અને પંજાબના બાદ કરતા ભાજપ સત્તામાં અન્ય ત્રણ રાજ્યોમાં પહોંચી શકી નથી. યૂપીમાં સંજય જોશી અને ઉમા ભારતીના સંપૂર્ણ કમાન્ડ છતાં ભાજપને સફળતા મળી નથી.

બીજી તરફ તાજેતરના પશ્ચિમ બંગાળ, યૂપી, બિહારની વિધાનસભાના પરિણામો પ્રમાણે ભાજપ અને કોંગ્રેસ સિવાયના પક્ષોને વધારે સફળતા મળી છે. યૂપીમાં સમાજવાદી પાર્ટીના ખૂબ મોટી બહુમતીથી સત્તામાં આવ્યા બાદ મુલાયમ સિંહને પણ વડાપ્રધાન બનવાના સપના આવવા લાગ્યા છે. દેશમાં ભાજપ અને કોંગ્રેસ સિવાયના ત્રીજા વિકલ્પનો મુદ્દો પણ જોરશોરથી રાજકીય વર્તુળોમાં ચર્ચાવા લાગ્યો છે. ત્યારે લાગી રહ્યું છે કે ભાજપ માટે 2014ની લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવવા માટે લાંબુ ખેડાણ કરવાનું હજી બાકી છે.

No comments:

Post a Comment