Φ अपना विषय खोजे

Tuesday, April 24, 2012

અણ્ણા હજારેના વ્યક્તિત્વનો એક્સ-રે

અણ્ણા હજારેના “ગાંધીવાદી” વ્યક્તિત્વનો એક્સ-રે


the xray of personality of gandhian anna hazare

રાજઘાટ પર બાપુની સમાધિએ માથું ટેકવનારા દરેક જણા કંઈ ગાંધીવાદી ન હોઈ શકે. ગાંધીજીના સ્વસ્છ, સરળ અને નિર્મળ જીવનને અનુસરનારા ગાંધીવાદી હોઈ શકે. ભારતમાં આઝાદી પછી ગાંધીજીની થોડા સમયમાં હત્યા કરી દેવામાં આવી. ગાંધીના સ્થૂળ દેહની હત્યા એક જ વાર થઈ. પરંતુ ગાંધીજીના વિચારોની અને ચિંતનની ત્યારબાદ ડગલેને પગલે હત્યા થતી રહી. વધારે દુ:ખદ વાત એ છે કે ગાંધીજીના વિચારોની હત્યા કહેવાતા ગાંધીવાદીઓ દ્વારા થઈ છે. અરે, આ હત્યા હજી પણ ચાલુ છે.

ભ્રષ્ટાચારથી પરેશાન દેશને જનલોકપાલથી ઝાંઝવાના જળ દેખાડવામાં સફળ થયેલા અણ્ણા હજારે તેને કરપ્શન રોકવાનો સક્ષમ માર્ગ ગણાવી રહ્યા છે. તેના માટે તેઓ કુલ ચાર અનશન કરી ચુક્યા છે. 11મી ડિસેમ્બરે એક દિવસના સાંકેતિક ઉપવાસ અને રાજનેતાઓને પોતાના મંચ પર બોલાવીને મજબૂત લોકપાલ માટે ચર્ચા પણ અણ્ણા હજારેએ કરાવી. પરંતુ 27 ડીસેમ્બરે અણ્ણા હજારે ત્રણ દિવસના ઉપવાસ પર બેઠાં હતા. પરંતુ અનશનના બીજા જ દિવસે હજારેએ નાદુરસ્ત તબિયતનું કારણ આગળ ધરીને પોતાના ઉપવાસ આટોપી લીધા. હાલ તેઓ પૂણેની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને એક માસ આરામ કરવાની તબીબોએ સલાહ આપી છે.

સવાલ એ છે કે અણ્ણા હજારેનો પરપોટો કેમ ફૂટી ગયો? કારણ કે આ પ્રકારના બાદશાહી અને ડેંડાટી ઉપવાસનું નાટક જનતા સમજે નહીં તેટલી મૂર્ખ નથી. તેથી જ તો 60 હજારની ક્ષમતાવાળા મુંબઈના એમએમઆરડીએ મેદાનમાં અણ્ણાના અનશનમાં માત્ર 8-10 હજાર લોકો માંડમાંડ ભેગા થયા. પરંતુ આમા ખરો ખેલાડી કેજરીવાલ છે, અણ્ણાનો ઉપયોગ કરીને એ પોતાની મહત્વકાંક્ષાઓ પાર પાડવાની દાનત રાખે છે. લોકપાલ નીચે સીબીઆઈ હોત તો ચિદમ્બરમ જેલમાં હોત કે નહીં તે પ્રશ્ન છે પણ કિરણ બેદી અને કેજરીવાલ જરૂરથી જેલમાં હોત.

અણ્ણા હજારે ભ્રષ્ટાચાર સામે લડી રહ્યા છે અને લોકો તેમનામાંથી પ્રેરણા લઈને લડે તેની સામે કોઈને વાંધો ન હોઈ શકે. પરંતુ અણ્ણા હજારેને ગાંધીવાદી ગણાવવા ઘણું મોટું ષડયંત્ર છે. એક ગાંધીએ આઝાદીની લડાઈ લડી અને દેશને સ્વતંત્ર કરાવ્યો. હવે અણ્ણાને બીજા ગાંધી બનાવીને દેશને ભ્રષ્ટાચાર મુક્ત કરવાના દાવાઓ જોરશોરથી કરવામાં આવી રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે ગાંધીજીના વિરાટ વ્યક્તિત્વની સામે અણ્ણાનું વ્યક્તિત્વ ક્યાંય ટકી શકે તેમ છે? ગાંધીજી અને અણ્ણા હજારેના વ્યક્તિત્વમાં થોડીઘણી સમાનતા હશે, પરંતુ વધારે તો બંનેના વ્યક્તિત્વમાં અસમાનતા છે.

અણ્ણાના ગાંધીવાદી વ્યક્તિત્વનો એક્સરે કહી રહ્યો છે કે અણ્ણાનું વ્યક્તિત્વ ગાંધીવાદી નથી. પરંતુ અણ્ણાને જબરદસ્તીથી ગાંધીવાદી બનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. ખુદ અણ્ણા કહી રહ્યા છે કે તેઓ ગાંધીજીના પગ પાસે બેસવાને પણ લાયક નથી. પોતે ગાંધીવાદી ન હોવાની વાત કરીને અણ્ણાએ કહ્યુ છે કે તેઓ ગાંધીજી સાથે શિવાજીને પણ માને છે.

અણ્ણાની માગણી ગાંધીવાદી નથી

સૌથી પહેલા તો અણ્ણાની જનલોકપાલની માગણી જ ગાંધીવાદી નથી. ગાંધીજી સત્તાના વિકેન્દ્રીકરણની વાત કરતા હતા. તેમનું માનવું હતું કે સત્તા ગામડાં સુધી પહોંચે અને દરેક ગામ આત્મનિર્ભર થાય. આમ થવાથી જ લોકોનું ભલું થશે અને અસલી લોકતંત્ર આવશે. પરંતુ અણ્ણાની જનલોકપાલની માગણીને જોવો. અણ્ણા એવા જનલોકપાલ બિલની હિમાયત કરી રહ્યા છે, જેના દ્વારા દેશના વડાપ્રધાન, સાંસદ, ન્યાયતંત્ર, કેન્દ્રથી લઈને ગ્રામીણ સ્તર સુધીના વહીવટી અધિકારીઓની તપાસ અને તેમને સજા સંભળાવવાનો હક હશે. બસ લોકપાલની પોતાની જેલ નહીં હોય. શું ગાંધીજી આવી કેન્દ્રીયકૃત સંસ્થાનું ક્યારેય સમર્થન કરતા હતા?

લોકશાહીમાં લોકો સર્વોપરી હોવાનું અણ્ણા ખાલી કહે જ છે!

અણ્ણા હજારેએ અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં એક સવાલના જવાબમાં કહ્યુ હતુ કે જો સંસદ તેમનું બિલ રદ્દ કરે છે, તો તેઓ તેના નિર્ણયને માની લેશે. અણ્ણાએ પોતાના સમગ્ર આંદોલનનું શીર્ષાસન કરાવી દીધું. આનાથી મોટી મજાક શું હોઈ શકે? જો અણ્ણા હજારેએ ગાંધીજીની હિંદ સ્વરાજને ઉપરઉપરથી વાંચી હશે, તો પણ તેમને ખબર હશે કે તે સમયે બ્રિટિશ પાર્લામેન્ટ સંદર્ભે ગાંધીજીએ કેટલા કઠોર શબ્દોમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. તે શબ્દોનો પ્રયોગ આજે આપણી સંસદ માટે ક્યારેય કરી શકાય નહીં. પરંતુ અણ્ણાએ એ વાત સમજવી જોઈએ કે સંસદ જનતાથી ઉપર નથી. બંધારણ જનતાની લાગણીથી ઉપર નથી. જો સંસદે જ આખા દેશના વિવેકનો ઠેકો લઈ રાખ્યો હોય, તો 42 વર્ષથી વધારે સમય સુધી લોકપાલનો મુદ્દો અધરમાં લટકતો કેમ રહ્યો? કોઈપણ લોકશાહીમાં સર્વોચ્ચ સાર્વભૌમતા જનતાની જ હોય છે. પરંતુ અણ્ણા જનતાને લોકશાહીમાં સર્વોચ્ચ સાર્વભૌમ માનવાના ગાંધીજીના મત સાથે પોતાના સમગ્ર આંદોલન દરમિયાન સાતત્યતાથી વળગી રહ્યા છે?

અણ્ણામાં દેશની ભાષા પ્રત્યેની લાગણી ગેરહાજર?

અણ્ણા હજારે સરકાર સાથેની લોકપાલ મુદ્દે બનેલી કમિટીમાં મુખ્ય સભ્ય હતા. પરંતુ અખબારો કહે છે કે બેઠકમાં થઈ રહેલી વાતચીત અણ્ણા હજારેના પલ્લે પડતી ન હતી. કારણ કે તે માત્ર મરાઠી અને હિંદી જ જાણ છે. તેમને ભારતની કાળા અંગ્રેજોની રાજભાષા અંગ્રેજી આવડતું નથી. જો અણ્ણા હજારે ગાંધીવાદી હોત અને ખરેખર સત્યાગ્રહી હોત તો આ મંત્રીઓ અને તેમના સાથીદારોને કહેત કે જનભાષા વગર જનલોકપાલ કેવી રીતે બનાવશો? સમગ્ર જનવિધેયક અને તેની વ્યાખ્યા લગભગ 100 પૃષ્ઠોમાં છે. આ બધી વાત પહેલા અંગ્રેજીમાં જ હતી. ત્યારે સવાલ એ છે કે અંગ્રેજી ન જાણનારા અણ્ણા હજારેએ તેમના નવરત્નોને પહેલા હિંદીમાં સમગ્ર જનવિધેયકને મુકવાની વાત કેમ કરી નહીં? ગાંધીજી હિંદીભાષાના પ્રખર આગ્રહી હતા. પાછળથી તેમણે ઉર્દૂ મિશ્રિત હિંદીની પુરજોર તરફેણ કરી હતી. પરંતુ અણ્ણા હજારેએ ક્યારેય હિંદી ભાષામાં અથવા લોકોની ભાષામાં વાત કરવાની વાત કરી નથી.

અણ્ણા પોતાના નવરત્નોની દોરવણીથી જ ચાલે છે

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી આઝાદીના દરેક આંદોલનની રૂપરેખા પોતાની રીતે નક્કી કરતા હતા. તેઓ અવશ્ય તેમના સાથીદારોના સૂચન લેતા હતા, પરંતુ કરતા હતા તેમના અંતરમનના અવાજ પ્રમાણેનું કામ. ગાંધીજી તે વખતના ભારતની આઝાદી માટે લડતા સૌથી મોટા સંગઠન અખિલ ભારતીય કોંગ્રેસના નેતા હતા. (જો કે તેઓ તેના સભ્ય ન હતા!) પરંતુ અણ્ણા એક નકલી સંગઠનની દેણ છે. તેથી જ ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શન નામનું સંગઠન જેના નામ પર અણ્ણાએ ભૂખ હડતાલ કરી હતી, તે ખતમ થઈ ગયું છે. કોઈ જણાવે કે ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શન નામના એનજીઓને રામલીલા મેદાનમાં જનતા પાસેથી મળેલા લાખો રૂપિયા ક્યાં ખર્ચ કર્યા? એવું સંગઠન જેના સંસ્થાપકોમાંથી બે મોટા નામો સ્વામી રામદેવ અને સ્વામી અગ્નિવેશને અલગ કરી દેવામાં આવ્યા, શું એવું આ સંગઠનના પ્રસ્તાવ બાદ થયું છે? અથવા તે કહ્યું અને મે સાંભળ્યુંની તર્જ પર બંને મોટા નામો બેગાના થઈ ગયા છે.

ગાંધીજી પોતાના વક્તવ્યો, કાર્યક્રમોની રૂપરેખાને આપમેળે આપસુઝ પ્રમાણે આખરી ઓપ આપતા હતા. પરંતુ અણ્ણા હજારેના મામલામાં એવું નથી. ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શનની કોર કમિટી નક્કી કરે છે કે અણ્ણા વડાપ્રધાનને પત્ર લખશે અથવા ટીમ અણ્ણા હિસ્સારમાં કોંગ્રેસનો વિરોધ કરશે. આજ સુધી એ નક્કી થઈ શક્યું નથી કે ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શનના કોણ સભ્ય છે અને કોણ પદાધિકારી છે. જ્યારે ગાંધીજી જે કરતાં તેનું અનુસરણ તેમની આજુબાજુના લોકો અને ટેકેદારો કરતાં હતા. જ્યારે અણ્ણા હજારેનું જીવનમાં કોઈ અનુસરણ કરતું નથી. તેમના સ્વયંસેવકો અને નવરત્નોમાંથી કોઈએ અણ્ણાના ઉપવાસમાં સાથ પુરાવ્યો નથી. (અંશત્ અપવાદ મુંબઈના ઉપવાસ) પરંતુ ગાંધીજીના આમરણ અનશન વખતે તેમની સાથે ઉપવાસ કરનારાઓની સંખ્યા પણ ઘણી મોટી રહેતી હતી. કિરણ બેદી અને કેજરીવાલ બે ટાઈમ ભરપેટ જમીને રામલીલા મેદાનમાં સૂત્રો પોકારતા અને તિરંગો લહેરાવતા નજરે પડતા હતા. આ સંગઠન ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શને ગત બે વર્ષોમાં કેટલા ગોટાળાબાજોને બેનકાબ કર્યા અથવા કોઈ અન્ય સમાજસુધારાના કામ કર્યા હોય, તો તેનો જવાબ શૂન્ય છે. (ઉલ્લેખનીય છે કે મુંબઈમાં ટીકાઓથી બચવા કેજરીવાલ અને બેદી અણ્ણા સાથે ઉપવાસ કર્યા હતા. પરંતુ તેમના સદભાગ્યે અણ્ણાના ઉપવાસ ત્રણ દિવસ પહેલા જ આટોપી લેવાયા. બાકી તેમના ભૂખ્યા રહેવાની ક્ષમતા પર દેશવાસીઓને હંમેશા શંકા રહેશે.)


અણ્ણાનો ગાંધીવાદ ટોપી-ધોતી સુધી સીમિત


અણ્ણાનો ગાંધીવાદ માત્ર ટોપી અને ધોતી સુધી સીમિત છે. માત્ર રાજઘાટ પર માથું નમાવવાથી અને ગાંધીની અમુક વાતો કરવાથી ગાંધીવાદી થવાય નહીં. ગાંધીજીના નિર્મળ, નિષ્પાપ, સરળ અને સ્વચ્છ જીવન મૂલ્યોને અનુસરવા અને તેના પ્રમાણે જીવન જીવવું વ્યક્તિને ગાંધીવાદી બનાવે છે. અણ્ણાના કર્મ અથવા વિચારોની ગાંધીવાદ સાથે કોઈ લેવાદેવા નથી. અણ્ણાનું કર્મ ત્યાંથી શરૂ થાય છે, જ્યાં ગાંધીવાદનું અંતિમ ચરણ આવતું હતું. ગાંધીજીએ જેટલીવાર આમરણ અનશન કર્યા તે પોતાના આંદોલનના અંતિમ ચરણમાં કર્યા. જનજાગરણ, જનચેતના, નો તો અણ્ણાના વશની વાત છે અને ન તો તેમના એજન્ડામાં આવી કોઈ વાત છે.

ગાંધીજી કર્મયોગી, અણ્ણા હઠયોગી

ગાંધીજી ગીતાના કર્મયોગના ઉપાસક હતા. ગાંધીજીના કાર્યોમાંથી કર્મયોગ છલકતો હતો, પરંતુ અણ્ણા હજારેના ક્રિયાકલાપોમાંથી અને તેમની બેકાબુ જુબાનથી માત્ર હઠયોગ જ છલકી રહ્યો છે. ગાંધીજીના વિધાનોમાં ધમકી ક્યારેય હતી નહીં, બસ તેઓ માત્ર માગણી કરતા હતા. ત્યાર બાદ માગણી ન માનવામાં આવે તો જ્યાં હોય ત્યાં અનશન શરૂ કરી દેતા હતા. પરંતુ અણ્ણા હજારે બ્લેકમેઈલરની તર્જ પર અનશનની ધમકી આપતા રહ્યા છે. ગાંધીજી કોઈના વિરોધમાં જીવનમાં ક્યારેય હતા નહીં.

અણ્ણાને લક્ષ્ય કરતાં જીવન વધારે વ્હાલું?

ગાંધીજીએ પોતાના સમગ્ર જીવનમાં સાચા મહાત્માની જેમ પોતાના શરીર અને જીવનની ક્યારેય ચિંતા કરી ન હતી. જ્યારે અણ્ણાના અનશન પ્રખ્યાત તબીબ ડોક્ટર ત્રેહાનની દેખરેખમાં થયા. હવે તમે જ વિચારો કે અણ્ણાને જીવન સાથે કેટલો મોહ છે. કદાચ આ દુનિયાના પહેલા અનશન હતા કે જ્યાં અનશનકારી પોતાના ખાનગી ડોક્ટર સાથે ઉપવાસ કરવા ઉતર્યો હોય. મુંબઈના અનશનમાં તેમને તબીબોની સલાહથી પીછેહઠ પણ કરવી પડી છે.

અણ્ણાની ઉપલબ્ધિ શું?

ગાંધીજીની આસપાસ હંમેશા જનકલ્યાણ અને નિર્માણની યોજનાઓને રચનાત્મકતા રહેતી હતી. ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણ સહીતની સામાજિક કુરીતિઓ સામે લડવા માટે સમાજની સમજ પેદા કરી. તેમણે રેંટિયો કાંતીને પોતાનું કાપડ બનાવીને વિદેશી કપડાના બહિષ્કારની વાત કરી. તેમણે સંડાસ જાતે સાફ કરીને સ્વચ્છતાના પાઠ લોકોને ભણાવ્યા.

પરંતુ અણ્ણાની ઉપલબ્ધિઓની વાત છે તેઓ હંમેશા મહારાષ્ટ્રના પોતાના અનશનોની વાત કરે છે. જેમાં ઘણાં મંત્રીઓ અને સેંકડો અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી થઈ હતી. પરંતુ ત્યાર બાદની વાત કોઈ કરતું નથી કે હટાવાયેલા તમામ મંત્રીઓમાંથી કેટલાં ફરીથી મંત્રી બન્યા, કેન્દ્રીય મંત્રી બન્યા અથવા તે મંત્રીઓના ભ્રષ્ટાચારનું આગળ શું થયું? ઉપલબ્ધ જાણકારી પ્રમાણે, આવા તમામ લોકો રાજનીતિમાં આજે પણ સક્રિય છે. જ્યારે મહાત્મા ગાંધી માટે પૂર્ણ સ્વરાજનો સંકલ્પ હતો, તેને તેમણે પોતાના જીવનકાળમાં પૂર્ણ કર્યો હતો.


ગાંધીવાદી અણ્ણાના મંચ પરથી હિંસાની તરફેણ કેમ?


અનશન દરમિયાન હિંસાની તરફેણ અણ્ણાના મંચ પરથી ખૂબ મોટા પ્રમાણમાં થઈ. સાંસદો અને રાજકારણીઓ માટે શિષ્ટાચારવિહીન વાતો પણ કરવામાં આવી. અણ્ણાના મંચ પરથી ભ્રષ્ટાચારીઓના હાથ કાપી નાખવાની અને તેમને ફાંસીએ ચઢાવી દેવાની વાત કરવામાં આવી. અણ્ણાએ એકપણ વાર આવી વાતોનો વિરોધ કર્યો નથી. અણ્ણાએ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ અને ચંદ્રશેખર આઝાદ જેવાં ક્રાંતિકારીઓના નામ લઈને નવજુવાનિયાઓને પોરસ ચઢાવ્યું. નવજુવાનિયાઓને ભારત માટે સર્વસ્વ ત્યાગનારા ક્રાંતિકારીઓનું નામ લેવું કોઈ ખરાબ વાત નથી. પરંતુ શું કોઈ ગાંધીવાદી સ્વપ્નમાં પણ હિંસાને પ્રત્યક્ષ કે પરોક્ષ સમર્થન આપી શકે? આનાથી પણ મોટી વાત એ છે કે દિલ્હીમાં શરદ પવારને એક માથાફરેલા યુવાને થપ્પડ મારી દીધી. અણ્ણાની પ્રતિક્રિયા પુછવામાં આવી તો તેમણે કહ્યુ કે માત્ર એક જ થપ્પડ મારી? એક ગાંધીવાદી હિંસાત્મક કૃત્યની તત્કાળ આલોચના કરવાની જગ્યાએ તેને સમર્થન કરવા જેવા ટોનમાં પવારનો ઉપહાસ કરવાનું કૃત્ય કરે, તે શું હિંસા નથી?

શરદ પવારને થપ્પડથી અણ્ણા ખુશ થયા?


પરંતુ અણ્ણા આટલેથી અટક્યા નથી, તેમણે તો પોતાના બ્લોગ પર પોતાના પવાર પરના ઉપહાસને યોગ્ય ઠેરવવાનો નિર્લજ્જ પ્રયાસ કર્યો છે. શિવસેનાના સુપ્રિમો બાલ ઠાકરેએ તેના સંદર્ભે પ્રતિક્રિયા આપીને સામનાના સંપાદકીયમાં લખ્યું છે કે ગાંધીવાદી અણ્ણાની કમરે કોઈ બીજાની ધોતી છે. તેમની સામે ગાંધીજીની વાત કરીએ તો ગાંધીજીના કાર્યો અને મત-અભિપ્રાયોથી કોઈ અસંમત જરૂરથી હોઈ શકે. પરંતુ તેમની અહિંસા પ્રત્યેની પ્રતિબદ્ધતાથી કોઈ ઈન્કાર કરી શકે નહીં. ગાંધીજીએ અસહકાર આંદોલનને ચૌરાચૌરી હિંસા કાંડ બાદ અટકાવી દીધું હતું. ગાંધીજીએ ભગતસિંહના હિંસક ક્રાંતિકારી કૃત્યોને દેશભાવના તરફેણમાં હોવા છતાં સમર્થન આપ્યું ન હતું. ગાંધીજીએ નોઆખલીની હિંસાને રોકવા માટે આમરણાંત ઉપવાસ કર્યા હતા. પોતાના જીવનમાં તેમણે ક્યારેય હિંસાને જાણે-અજાણે કોઈપણ જાતનું ઉત્તેજન આપ્યું ન હતું.

અણ્ણાનું આંદોલન બિનરાજકીય નથી, છેવાડાનો માણસ ગેરહાજર

ગાંધીજીનું સૌથી મોટું શસ્ત્ર વિરોધ ન હતું, પણ અસહકાર હતું. ગાંધીજીનો અસહકાર કોઈના વિરોધમાં ન રહેતા કોઈ કામ માટેનો રહેતો હતો. જ્યારે અણ્ણા હજારેનો વિરોધ સત્તાધારી કોંગ્રેસ પક્ષ વિરુદ્ધનો થઈ રહ્યો છે. પહેલા હિસ્સારની પેટા ચૂંટણીમાં અણ્ણાની ટીમે કોંગ્રેસ વિરુદ્ધ મત આપવાની અપીલ કરી હતી. તો હવે અણ્ણા કહી રહ્યા છે કે મજબૂત લોકપાલ નહીં આવે તો તેઓ પાંચ રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસ વિરુદ્ધ મત આપવાની લોકોને અપીલ કરશે. જો કે તેમના પાંચ રાજ્યોમાં ચૂંટણી પ્રચાર કરવા સંદર્ભે હજી તેમની તબિયતને કારણે આશંકાઓ છે.


ગાંધીજીના આંદોલનો સામાજિક પ્રકારના રહેતા અને તેનો રાજનીતિ પર પ્રભાવ પડતો હતો. પરંતુ હવે અણ્ણાના આંદોલન સામાજિક રહ્યા નથી. અણ્ણાના છેલ્લા અનશન સુધી રાજનેતાઓને મંચથી દૂર રાખવામાં આવ્યા. પણ 11મી ડિસેમ્બરે સંસદ બહાર સંસદ ચલાવવાની અદાથી અણ્ણાએ મંચ પર વિરોધ પક્ષના નેતાઓને આમંત્ર્યા અને લોકપાલ મુદ્દે ચર્ચા કરી. ગાંધીજીના આંદોલનમાં ગામડાંનો છેવાડાનો માણસ પણ જોડાતો, પરંતુ અણ્ણાના આંદોલનમાં ભારતને એલિટ ગણાતો ફેસબુકિયો અને ઈન્ટરનેટિયો વર્ગ વધારે પ્રમાણમાં જોડાયો છે. અણ્ણા દેશના છેવાડાના માણસને પોતાના અનશનો અને આંદોલનો સાથે જોડવામાં સરેઆમ નિષ્ફળ ગયા છે.

બેદી-કેજરીવાલ મુદ્દે અણ્ણાની ‘મજબૂર’ ચુપકીદી


ગાંધીજી પોતાના સાથીદારોની શુદ્ધતા અને પવિત્રતા માટે આગ્રહી હતા. તેઓ પોતાના સાથીદારોના આચરણની બાબતમાં કઠોર હતા. પરંતુ અણ્ણા હજારેમાં આ ખૂબી ગેરહાજર છે. ટીમ અણ્ણાના મહત્વના સભ્ય કિરણ બેદી પર ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આરોપો લાગેલા છે. પરંતુ અણ્ણા લાંબા સમય સુધી મૌન રહ્યા બાદ બેદીના ટેકામાં ઉતરી આવ્યા છે. અરવિંદ કેજરીવાલ પર સરકારના લેણાના કેટલાંક રૂપિયા બાકી હતા. પરંતુ અણ્ણા તે મુદ્દે પણ ચુપ રહ્યા છે. અણ્ણાના સાથીદાર કુમાર વિશ્વાસ કોલેજમાં હાજર ન રહેતા હોવાની ફરીયાદો ઉઠી છે. પરંતુ અણ્ણાએ એકપણ વખત તેમને તેમનું અધ્યાપન કાર્ય સારી રીતે કરવા માટે સલાહ આપી નથી.

ગાંધીજી પોતાના આશ્રમોના આવક-જાવકના હિસાબ પર કડક નિરીક્ષણ રાખતા હતા. આશ્રમોના ખાતા બધાં માટે ખુલ્લા રહેતા હતા. એ ઘણું સારું રહેત કે અણ્ણાના આંદોલન માટે આવેલા નાણાંને તુરંત હિસાબ સાથે ચાર-છ દિવસમાં જાહેર કરી દેવાત કે જેથી સમગ્ર સમાજસેવી સંસ્થાઓ માટે તે ઉદાહરણ બની શકત. એ જોવું પણ આયોજકોનું કામ છે કે આ નાણાં તેમને ધનકુબેરો પાસેથી નહીં પણ સામાન્ય જનતા પાસેથી મળે. કારણ કે મોટી રકમ આપનારી સંસ્થાઓ અથવા ધનકુબેરો પોતાના હિત માટે ક્યારેક આંદોલનની નસ દબાવી શકે છે.

અણ્ણાના ગાંધીવાદી વ્યક્તિત્વનો એક્સરે તમારી આંખો સામે છે. ત્યારે એવી આશંકાઓ પણ છે કે અણ્ણાના આંદોલનથી ભીડતંત્ર સામે મજબૂર બનીને લોકતંત્ર અને તેની પ્રક્રિયાઓ કમજોર કરીને એક એવા તંત્રને જન્મ આપશે, જેમાં સ્વયંસેવી સંગઠનોના નામ પર નવી હુકમશાહીનું રાજ કાયમ થશે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો અણ્ણાને હાથો બનાવીને એનજીઓનો આતંકવાદ પણ વિકસશે. સવાલ જનલોકપાલમાં વડાપ્રધાન અથવા ન્યાયતંત્રને સામેલ કરવાનો નથી, સવાલ દરેક સ્તરે સમાજમાં વ્યાપ્ત ભ્રષ્ટાચારથી નિપટવાનો છે. ગાંધીવાદી મૂલ્યો સાથે લોકતાંત્રિક આઝાદ ભારતમાં આંદોલનને સફળતા મળશે તેવી ઘણાંને શ્રદ્ધા છે. સવાલ છે કે અણ્ણાના ગાંધીવાદી વ્યક્તિત્વના એક્સરે પ્રમાણે તેવો કેટલાં ગાંધીવાદી છે?

No comments:

Post a Comment